જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ સાથે અથડામણ જારીઃ 1 આતંકવાદી ઢેર
Updated: Feb 22nd, 2019
શ્રીનગર, તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામા હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધની કાર્યવાહી વધારે તેજ બનાવી છે. શુક્રવારે સુરક્ષા દળોએ સોપોરમાં એક આતંકવાદીનો ખાત્મો બોલાવ્યો હતો. આ એન્કાઉન્ટર ગુરુવારથી ચાલુ છે. બારામુલ્લા જિલ્લાના સોપોરના વારપોરા ક્ષેત્રમાં સુરક્ષા દળોને કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોને ગોળીબારના અવાજ સંભળાયા અને ત્યારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
મળતી માહિતી મુજબ બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા છે અને સુરક્ષા દળો પર ફાયરિંગ કરી રહ્યાં છે. એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ કાશ્મીર ખીણમાં લગભગ 60 આતંકવાદીઓ સક્રિય છે જેમાંના 35 પાકિસ્તાની છે. આ આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોએ અભિયાન છેડ્યું છે. આ અભિયાનનું નામ ઓપરેશન-60 રાખવામાં આવ્યું છે. આ પહેલાં સેનાએ ઓપરેશન-25 ચલાવ્યું હતું. જે અંતર્ગત સુરક્ષા દળોએ આતંકવાદી ગાઝી રશીદને ઠાર માર્યો હતો.
બીજી બાજુ LoC પર પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ગુરુવારે પણ પૂંચ વિસ્તારમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું અને ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.