‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Narendra Modi Environment Conference : નવી દિલ્હીમાં આયોજિત 'ધ ફ્યુચર ઓફ એનવાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ ડાયનેમિક્સ' વિષય પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો પર કાર્બન ઉત્સર્જનની જવાબદારી ઘણીવાર ખોટી રીતે નાખવામાં આવે છે. વિજ્ઞાન ભવનમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્લોબલ સાઉથના અનેક દેશો અહીં ઉપસ્થિત છે, પરંતુ ઐતિહાસિક વાસ્તવિકતા એ છે કે આજે પણ ભારતનું પ્રતિ વ્યક્તિ (per capita) કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતા અડધા કરતાં પણ ઓછું છે.
ભારતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી
વડાપ્રધાને જણાવ્યું કે ભારતે પર્યાવરણ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. પાછલા બાર વર્ષોમાં દેશે પર્યાવરણ સાથે જોડાયેલા દરેક ક્ષેત્રમાં અસાધારણ કામગીરી કરી છે. ભારત G-20 જૂથનો એકમાત્ર એવો દેશ છે કે જેણે પેરિસ (COP-21) શિખર સંમેલનમાં કરેલી પોતાની આબોહવાકીય પ્રતિબદ્ધતાઓને નિર્ધારિત સમયમર્યાદા અગાઉ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધી છે. બિન-અશ્મિભૂત ઈંધણ ક્ષમતા અને સૌર ઉર્જા જેવા ક્ષેત્રોમાં દેશે મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે, જે 'નવા ભારત'ની અદભુત શક્તિ દર્શાવે છે.
વિશ્વના અનેક નેતા-અધિકારીઓ હાજર
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા આયોજિત આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ 19 અને 20 સપ્ટેમ્બરના રોજ યોજાઈ રહી છે. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ અને આબોહવા ગતિશીલતા સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવાનો છે, જેમાં ન્યાયિક, સરકારી અને કાનૂની હિસ્સેદારો એકસાથે આવ્યા છે. ઉદ્ઘાટન સત્રમાં ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દર યાદવ, એટર્ની જનરલ આર. વેંકટરામણી અને એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાઓ વચ્ચે સહયોગ મજબુત કરવાનો હેતુ
આ પરિષદમાં દેશ-વિદેશના 17 દેશોના પ્રતિનિધિઓ, સર્વોચ્ચ અને હાઈકોર્ટના ન્યાયાધીશો તેમજ પર્યાવરણ વિશેષજ્ઞો ભાગ લઈ રહ્યા છે. એનજીટીના જણાવ્યા અનુસાર, આ બે દિવસીય મંચ નીતિ નિર્માણ અને અમલીકરણમાં રહેલી ખામીઓને ઓળખવા તથા સંસ્થાઓ વચ્ચે સહયોગ મજબૂત કરવા માટે એક સચોટ રોડમેપ તૈયાર કરશે. આ ગંભીર વૈશ્વિક આબોહવાકીય પડકારોનો સામનો કરવા માટે પર્યાવરણીય ન્યાય અને સંસ્થાગત સહકારને વેગ આપવા તરફનું આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.




