કોરોના કહેર : છેલ્લા 24 કલાકમાં 8909 નવા કેસ, કુલ દર્દીઓની સંખ્યા 2 લાખને પાર
- એક દિવસમાં 217 લોકોના મૃત્યુ થયા ત્યારે 4776 લોકો સાજા થયા
- અત્યાર સુધીમાં એક લાખથી વધારે લોકો કોરોના જંગ જીતી ચુક્યા છે
Updated: Jun 3rd, 2020
નવી દિલ્હી, તા. 03 જૂન 2020, બુધવાર
દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 2 લાખને પાર પહોંચી ચુકી છે. બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 8,909 નવા કેસ સામે આવ્યા છે અને 24 કલાકમાં આ જીવલેણ બીમારીથી 217 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે 4776 લોકો સાજા પણ થઇ ચુક્યા છે.
હવે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 2,07,615 છે. તેમાંથી 5,815 લોકોના મૃત્યુ થયા છે. રાહતની વાત એ પણ છે કે લગભગ 50 ટકા એટલે કે 1,00,303 દર્દી કોરોના સામેની લડતમાં જીત હાંસલ કરી ચુક્યા છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,01,497 છે. છેલ્લા કેટલાક દિવસોમાં દર્દીઓના સાજા થવાની સંખ્યા ઝડપથી વધી રહી છે.
કોરોનાથી સૌથી વધારે મહારાષ્ટ્ર અસરગ્રસ્ત થયુ છે. અહીં કુલ દર્દીઓની સંખ્યાનો આંકડો 72 હજારને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધી 2,465 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે, જ્યારે 31 હજારથી વધારે લોકો સાજા થઇ ચુક્યા છે. અત્યારે 38,502 એક્ટિવ કેસ છે. બીજા નંબર પર તમિલનાડુ છે, જ્યાં અત્યાર સુધીમાં 24 હજારથી વધારે નવા કેસ સામે આવી ચુક્યા છે, જેમાં 197 લોકોના મૃત્યુ થયા છે.
કોરોનાના કુલ કેસમાં ત્રીજા નંબર પર દિલ્હી છે. અત્યાર સુધી અહીં 22,132 કેસ સામે આવી ચુક્યા છે, જેમાંથી 556 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. જ્યારે 9243 લોકો સાજા થઇ ચુક્યા છે. ગુજરાતમાં કુલ દર્દીઓનો આંકડો 17,617 પર પહોંચી ગયો છે, જેમાં 1092 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે.
રાજસ્થાનમાં કુલ દર્દીઓની સંખ્યા 9373 છે, જેમાંથી 203 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. મધ્ય પ્રદેશમાં કુલ દર્દીઓની સંખ્યા 8420 છે, જેમાંથી 364ના મૃત્યુ થયા છે. ઉત્તરપ્રદેશમાં દર્દીઓની સંખ્યા 8361 છે, જેમાંથી 222 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.