પુલવામા હુમલા બાદ પણ PM મોદી શૂટિંગ કરી રહ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપો બોગસ
Updated: Feb 23rd, 2019
નવી દિલ્હી, તા. 23. ફેબ્રુઆરી 2019 શનિવાર
પુલવામા હુમલા બાદ પણ પીએમ નરેન્દ્ર મોદી જીમ કોરબેટ નેશનલ પાર્કમાં શૂટિંગ કરી રહ્યા હોવાના કોંગ્રેસના આરોપો બૂમરેંગ સાબીત થાય તેમ લાગી રહ્યુ છે.
પોતાના આક્ષેપોના સમર્થનમાં કોંગ્રેસે પીએમ મોદીની જે તસવીરો શેર કરી હતી તે તસવીરો હુમલા બાદ નહી પણ સવારની હોવાનુ ભાજપે કહ્યુ છે.
ભાજપે રાહુલ ગાંધીએ તસવીરો શેર કરીને જે ટ્વિટ કર્યુ હતુ તેનો જવાબ આપ્યો છે કે પુલવામા હુમલો બપોરે થયો હતો અને જે તસવીરો રાહુલ ગાંધીએ શેર કરી છે તે સવારની છે.રાહુલ ગાંધી તમારા ફેક ન્યૂઝના કારણે દેશ કંટાળી ગયો છે.પીએમ મોદીની સવારની તસવીરો બેશરમ બનીને ફરતી કરીને દેશને ગેરમાર્ગે દોરવાનુ બંધ કરો.
ભાજપે રાહુલ ગાંધીને કહ્યુ છે કે હવે પછી જે પણ પબ્લિસિટી સ્ટંટ કરો તે જવાનોની શહીદી સાથે જોડાયેલો ના હોય તેનુ ધ્યાન રાખજો.
ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી 14 ફેબ્રુઆરીએ મોદીના કાર્યક્રમના શીડ્યુલની જાણકારી અપાઈ છે તેમાં પણ કહેવામાં આવ્યુ છે કે પુલવામા હુમલાની ખબર મળી ત્યારે પીએમ રસ્તામાં હતા.તેઓ રુદ્રપુર તરફ જઈ રહ્યા હોવાનુ એક અંગ્રેજી અખબારે કહ્યુ છે.
ટ્વિટર પર 14 ફેબ્રુઆરીએ પીએમ મોદીની બોટિંગ કરતી જે તસવીર પણ પુલવામા હુમલા પહેલા જ ટ્વિટર પર શેર થઈ ચુકી હતી.જેને કોંગ્રેસે હુમલા પછીની ગણાવી હતી.તેની સાથે સાથે એક અન્ય ચેનલે પણ અહેવાલ પ્રકાશીત કર્યો છે કે પુલવામા હુમલા બાદ મોદીએ ચા અને સમોસા ખાધા નહોતા.તેઓ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત દોવાલ સાથે અને ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે વાત કરવામાં વ્યસ્ત હતા.