West Bengal Political News : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં એક રેલીમાં સંબોધન કરતી વખતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેમણે રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR) કામગીરીમાં અનેક મતદારોના નામ કપાયા હોવાનો આક્ષેપ કરીને ભાજપ અને ચૂંટણી પંચની ટીકા કરી છે. આ સાથે તેમણે મહિલાઓને સંદેશ આપ્યો છે કે, ‘જો મતદાર યાદીમાં તમારું નામ કપાય તો તમે વેલણ, ચીપિયો, ખાંડણી જેવા હથિયારો લઈને લડાઈ માટે તૈયાર રહેજો.’
‘બંગાળ ચૂંટણી વખતે દિલ્હીથી પોલીસ બોલાવી માતા-બહેનો ધમકાવવામાં આવશે’
મમતા બેનરજીએ નામ લીધા વગર કહ્યું કે, એસઆઈઆરના નામે રાજ્યની મતદાર યાદીમાંથી માતા-બહેનોનો નામ કાપવામાં આવી રહ્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાશે ત્યારે દિલ્હીથી પોલીસ બોલાવીને માતાઓ અને બહેનોને ડરાવવામાં અને ધમકાવવામાં આવી શકે છે. જો તમારુ નામ મતદાર યાદીમાં કાપી દેવામાં આવે તો તમે રસોડામાં ઉપયોગ થતા હથિયારોથી તાકાત સાથે લડવા માટે તૈયાર રહેજો. તેઓ દેખવા માંગે છે કે, મહિલાઓ શક્તિશાળી છે કે, ભાજપ...
મતદાર યાદીમાંથી નામ કપાય તો હથિયાર સાથે તૈયાર રહેજો : મમતા
મમતા બેનરજીએ રેલીમાં સંબોધન કરતી વખતે કોઈનું પણ નામ લીધા વગર કટાક્ષમાં કહ્યું કે, ‘શું તમે શ્રીમાનના નામે માતાઓ અને બહેનોનો અધિકાર છિનવી લેશો? ચૂંટણી વખતે દિલ્હીથી પોલીસ બોલાવીને માતાઓ અને બહેનોને ડરાવી ધમકાવવામાં આવશે.’ તેમણે મહિલાઓને કહ્યું કે, ‘માતાઓ અને બહેનો... જો SIR દરમિયાન તમારું નામ મતદાર યાદીમાં કાપવામાં આવે તો તમારી પાસે હથિયાર છે ને? ભોજન બનાવતી વખતે ઉપયોગ થતા હથિયાર... તમારી પાસે તાકાત છે ને? જો તમારું નામ કાપવામાં આવે તો તમે સહન નહીં કરો ને? મહિલાઓ આગળ વધીને લડશે અને પુરુષ તેમની પાછળ ઉભી રહેશે.’
મમતા ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ
તેમણે એવું પણ કહ્યું કે, ‘હું જોવા માંગુ છું કે, કોઈ વધુ શક્તિશાળી છે - મહિલાઓ કે ભાજપ...’ તેમણે આક્ષેપ કર્યો કે, ‘હું સાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરતી નથી. હું ધર્મનિરપેક્ષમાં વિશ્વાસ કરું છું. જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ભાજપ નાણાંનો ઉપયોગ કરીને, બીજા રાજ્યોમાંથી લોકોને લાવીને પ્રજાના ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે. ભાજપ પોતાની આઈટી સેલે તૈયાર કરેલી યાદી મુજબ ચૂંટણી યોજવાની યોજના બનાવી રહી છે.’


