‘જો ઈન્ડિગોએ જાણીજોઈને સંકટ ઊભું કર્યું હશે તો...’, કેન્દ્રીય મંત્રીની CEOને ચેતવણી

Indigo Airlines Crisis : નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ સમસ્યાને લઈને ગંભીર ચેતવણી આવી છે. છેલ્લા ઘણા દિવસોથી એરલાઈન્સની અનેક ફ્લાઈટો રદ થવાના કારણે અનેક મુસાફરો પરેશાન થયા છે, જેના કારણે મંત્રાલયના મંત્રી રામ મોહન નાયડૂએ એરલાઈન્સની સીઈઓને કડક શબ્દોમાં કહ્યું છે કે, ‘જો ઈન્ડિગોએ જાણી જોઈને સંકટ ઉભું કર્યું હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.’
ફ્લાઈટો રદ થવા પાછળ ઈન્ડિગોની બેદરકારી : નાગરિક ઉડ્ડયન મંત્રી
નાયડૂએ ખાનગી મીડિયા કાર્યક્રમમાં ઈન્ડિગોના કારણે હેરાન થયેલા મુસાફરો અંગે ચર્ચા કરતી વખતે કહ્યું કે, ‘ઈન્ડિગોના ગેરવહિવટ કામકાજના કારણે હજારો ફ્લાઈટો રદ થઈ રહી છે, તો કેટલીક ફ્લાઈટોમાં વિલંબ થયો છે. એરલાઈન્સે નવી ગાઈડલાઈન મુજબ પોતાનું રોસ્ટર તૈયાર કરવાની જરૂરી હતી, જોકે તેમાં ગડબડ કરવામાં આવી, તેથી આ સમસ્યા સર્જાઈ. માત્ર ઈન્ડિગોની બેદરકારીના કારણે જ સંકટ ઉભું થયું છે.’
‘ઈન્ડિગોએ નિયમોનું પાલન ન કર્યું’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ઈન્ડિગોના ક્રૂ રોસ્ટરિંગ સિસ્ટમ (પાયલોટ અને કેબિન ક્રૂની ડ્યુટી અને રજાઓનું આયોજન અને સમયપત્રક બનાવવા માટેની સિસ્ટમ)માં સમસ્યા હતી. જો તેમાં ફ્લાઈટ ટ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL) ગાઈડલાઈન્સ મુજબ નિયમોનું પાલન કરવામાં આવ્યું હોત તો સંકટ ટાળી શકાયું હોત, પરંતુ તેઓ પાલન ન કરી શક્યા. જેના કારણે ત્રીજી અને ચોથી ડિસેમ્બરે ફ્લાઈટ રદ થવાનો ડોમિનો ઈફેક્ટ જોવા મળ્યો.’
જ્યારે નિયમ લવાયો ત્યારે ઈન્ડિગોએ કોઈ ફરિયાદ પણ ન કરી
તેમણે એમ પણ કહ્યું કે, ‘નવા એફડીટીએલ નિયમો પહેલી નવેમ્બરથી લાગુ થયા હતા. કેટલીક ફ્લાઈટો રદ થયા બાદ અમે એરલાઈન્સના સતત સંપર્કમાં હતાં. થોડો સમય એવો આવ્યો કે, ત્યારે કોઈપણ ફ્લાઈટો કેન્સલ થઈ ન હતી. અમે નવા નિયમોની સમસ્યા અને ચિંતા જાણવા માટે ઈન્ડિગો સાથે પહેલી ડિસેમ્બરે બેઠક યોજી હતી, તે વખતે ઈન્ડિગોએ કોઈ ફરિયાદ કરી ન હતી. તેમ છતાં અમે સંપૂર્ણ સતર્ક હતા અને તમામ ઓપરેશનલ પર દેખરેખ રાખી રહ્યા હતા. અમે બધુ જ યોગ્ય રીતે ચલાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. અમે તેઓને ઘણી તક પણ આપીને કહ્યું હતું કે, જો તમને કોઈ સમસ્યા હોય તો અમને કહો.’
ઈન્ડિગો નવા નિયમો માટે તૈયાર હતી, છતાં સમસ્યા સર્જાઈ
તેમણે અંતે એવું કહ્યું કે, ‘અમે રોજબરોજ ઈન્ડિગોના કામકાજ પર ચાંપતી દેખરેખ રાખી રહ્યા છે. અમે રેગુલેટર હોવાથી અમારું કામ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. જ્યારે ઈન્ડિગોનું કામ સુરક્ષા માનકોનું પાલન કરવાનું છે. અમને પાયલોટ, ક્રૂ મેમ્બર અને મુસાફરોની ચિંતા હતી, તેથી અમે એફડીટીએલ નિયમો લાગુ કર્યા છે. જ્યારે અમે નવો નિયમ લાગુ કરતી વખતે તમામ એરલાઈન્સ સાથે ચર્ચા કરી, ત્યારે તમામે નિયમોનું પાલન કરતા હોવાનું કહ્યું હતું. ઈન્ડિગોએ પણ કહ્યું હતું કે, તેણે કોઈ સમસ્યા નથી.’

