મુખ્યમંત્રી પદ પર કોઈ વેકેન્સી નથી, નીતીશ જ કરશે બિહારનું નેતૃત્વ : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન
Bihar Assembly Election 2025 : એકતરફ બિહાર વિધાનસભી ચૂંટણીઓ નજીક આવી રહી છે, તો બીજીતરફ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન (Chirag Paswan)ના પોસ્ટરો પટનામાં જોવા મળતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પોસ્ટરોમાં ચિરાગને બિહારના મુખ્યમંત્રી બનાવાવનો ઉલ્લેખ કરાયો છે. જોકે ચિરાગ પાસવાને આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર ન હોવાનું કહી કહ્યું છે કે, સીએમ નીતીશ કુમાર (CM Nitish Kumar) જ બિહારનું નેતૃત્વ કરશે.
ચિરાગને મુખ્યમંત્રી બનાવવાના પોસ્ટરોથી રાજકારણમાં ખળભળાટ
તાજેતરમાં જ પટનાના અનેક સ્થળો પર ચિરાગ પાસવાનના પોસ્ટર લગાવાયા હતા. પોસ્ટરો પર ‘બિહારના મુખ્યમંત્રી તરીકે ચિરાગ જોઈએ’, ‘બિહાર તાજપોશીની રાહ જોઈ રહ્યું છે’, ‘બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ’ અને ‘બિહાર ચિરાગનું સ્વાગત કરવા તૈયાર’ જેવા અનેક પોસ્ટરો જોવા મળી રહ્યા છે. આ ઘટના બાદ ચિરાગને પ્રશ્ન કરવામાં આવતા તેમણે કહ્યું કે, ‘2025માં બિહારમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ જગ્યા ખાલી નથી. એનડીએ નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારની ચૂંટણી લડશે અને જીતીને સરકાર બનાવશે.’
પોસ્ટર વિવાદ પર પણ આપ્યું નિવેદન
દરભંગા આવેલા ચિરાગ પાસવાને પોસ્ટરો અને હોર્ડિંગ્સ પરની બાબતોને અટકળો કહી દીધી છે. તેમણે કહ્યું કે, હાલમાં આવો કોઈ દાવો નથી. નીતિશ કુમારના નેતૃત્વમાં NDA સંપૂર્ણપણે આગળ વધશે.
‘નીતિશ કુમાર પર વિશ્વાસ’
તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં નીતિશ કુમાર બિહારમાં એનડીએનું નેતૃત્વ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ જ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનથી આગામી વિધાનસભા ચૂંટણી પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે. નીતીશ કુમારનું વિઝન બિહારનો વિકાસ છે અને વડાપ્રધાન તે વિઝન સાથે સરકારનું નેતૃત્વ કરશે.’
આ પણ વાંચો : ગુજરાત સહિત દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષાઃ અઢી લાખ વિદ્યાર્થીઓ વચ્ચે થશે સ્પર્ધા