ચૂંટણી પહેલા બિહારની રાજનીતિમાં મોટી હલચલ, ચિરાગ પાસવાને કહ્યું- 'DyCM અમારી પાર્ટીમાંથી બનવા જોઈએ'
Bihar Assembly Election 2025 : બિહારમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને ભારે રાજકારણ શરુ થઈ ગયું છે. અગાઉ ચૂંટણી પછી એનડીએમાંથી મુખ્યમંત્રી કોને બનાવવા, તેના પર રાજકારણ ચાલ્યું હતું, ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી પદ માટે રાજકારણ શરુ થઈ ગયું છે. ચૂંટણી પછી નીતીશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવા પર મહોર વાગી ગઈ છે, ત્યારે હવે ચિરાગ પાસવાને નાયબ મુખ્યમંત્રી પદ માટે દાવો કરી એનડીનું ટેન્શન વધારી દીધું છે. NDA તરફથી જનતા દળ યુનાઇટેડના પ્રમુખ નીતીશ કુમારને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરાયા છે, જ્યારે મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવ મુખ્યમંત્રીનો ચહેરો બનવા માંગી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ‘લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ’ના પ્રમુખ ચિરાગ પાસવાને NDA પાસે મોટી માંગણી કરી છે. ચિરાગે મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી નથી, પરંતુ તેમની પાર્ટીમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે, તેવી માંગ કરી છે.
નીતીશ કુમાર પાસે બિહારને આગળ લાવવાનો અનુભવ : ચિરાગ
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને (Chirag Paswan) કહ્યું કે, ‘પરિસ્થિતિ વગર મુખ્યમંત્રી પદ માટે કોઈ વેકેન્સી નથી. નીતીશ કુમાર પાસે બિહારને આગળ લાવવાનો અનુભવ છે. આવી સ્થિતિમાં ગઠબંધનમાં મુખ્યમંત્રી અંગે ચર્ચા કરવાની કોઈ સંભાવના નથી.’ બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની સરકાર બનશે તો શું તમે નાયબ મુખ્યમંત્રી બનશો? આ સવાલના જવાબમાં પાસવાને કહ્યું કે, ‘મને કોઈપણ પદની લાલચ નથી, નાયબ મુખ્યમંત્રી એક ગંભીર પદ છે. હું ઇચ્છું છું કે, બિહારમાં દિવસ-રાત જમીનસ્તરે મહેનત કરનાર મારી પાર્ટીનો કાર્યકર નાયબ મુખ્યમંત્રી બને.’
આ પણ વાંચો : યુપીમાં શાળાના પહેલા દિવસે જ 12 વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય મોત, સાયલન્ટ એટેક કારણ?
ભાજપે શું કહ્યું?
ચિરાગ પાસવાનના નિવેદન બાદ ભાજપ પ્રવક્તા પ્રભાકર મિશ્રાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘ચિરાગે સ્પષ્ટ કહી દીધું છે કે, નીતીશ કુમારના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડવામાં આવે. સાથે તેમણે એમ પણ કહ્યું અને તેમની વાત એટલી મહત્ત્વની છે કે, તેઓ નાયબ મુખ્યમંત્રી બનવા માંગતા નથી. ચિરાગનું એકમાત્ર લક્ષ્ય એનડીએને મજબૂત કરવાનું છે. તેથી મહાગઠબંધનમાં સામેલ નેતાઓ મુખ્યમંત્રી અસ્વસ્થ હોવાની અફવા ફેલાવી રહ્યા છે.’