Get The App

અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી 1 - image


Another Boeing 787 Scare : 12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું જેમાં વિમાનમાં સવાર 242માંથી 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટના બાદ પ્લેન બનાવનારી બોઈંગ કંપની સામે સવાલ ઉઠ્યા હતા. અમદાવાદમાં બોઈંગનું વિમાન 787-8 ડ્રીમલાઈનર ક્રેશ થયું હતું. હવે ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી સર્જાઇ છે. 

ચેન્નઈ આવતું પ્લેન લંડન પરત ફર્યું 

બ્રિટિશ એરવેઝનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર પ્લેન ચેન્નઈ આવી રહ્યું હતું. વિમાને નિયત સમયથી 36 મિનિટ વિલંબથી ટેકઓફ કર્યું અને 15 હજાર ફૂટની ઊંચાઈ પર ટેકનિકલ ખામી સર્જાઇ. પાયલટે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું અને 12 હજાર ફૂટની ઊંચાઈ પર પ્લેનનું ઈંધણ હવામાં ખાલી કર્યું અને આશરે 1 કલાક 45 મિનિટ બાદ હિથ્રો એરપોર્ટના રનવે પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. બ્રિટિશ એરવેઝની વેબસાઇટ આ ફ્લાઈટ રદ બતાવવામાં આવી રહી છે, હજુ સુધી કંપનીએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.   

આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?

અમદાવાદ પ્લેન ક્રેશઃ 62 DNA મેચ થયા

12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખ શરૂ કરાઈ હતી, જે અંતર્ગત અત્યાર સુધી 25 મૃતદેહો તેમના પરિવારનો સોંપાયા છે. ડીએનએ સેમ્પલિંગ માટે 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે. બીજી તરફ, મૃતક મુસાફરોના કાયદેસરના વારસદારોને વીમા-દાવાની ચૂકવણી કરવા માટે પણ હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે. આ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરાઈ છે. પ્લેન ક્રેશની આ દુર્ઘટનામાં મોટા ભાગના મૃતદેહો બળી ગયા હતા. આ કારણસર મૃતદેહોની ઓળખ માટે ડીએનએ સેમ્પલિંગનું કામ શરૂ કરાયું છે. આ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે, તેમના દ્વારા ડીએનએ મેચિંગની કાર્યવાહી કરાઈ રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોના સગા સાથે સંકલન કરીને કાઉન્સેલિંગ પણ કરાઈ રહ્યું છે. 

હાલ મુસાફરો તથા સ્થાનિક રહેવાસીઓના સગા-સંબંધીના કુલ 250 બ્લડ સેમ્પલ લેવાયા છે, જે પૈકી 62 ડીએનએ મેચ થયા છે. આ પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધી ડીએનએ મેચ કરીને 35 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. હવે ફક્ત 3 મુસાફરોના સગા-સંબંધીના સેમ્પલ લેવાના બાકી છે કારણ કે, તેઓ યુ.કે.માં રહે છે. તેઓ આગામી બે-ત્રણ દિવસમાં સેમ્પલ આપવા આવશે.

આ પણ વાંચો : કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય

Tags :