For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બની આ હૉટ સીટ, હવે PM મોદી અને ખડગે જ લઈ શકશે નિર્ણય

Updated: Apr 4th, 2024

ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બની આ હૉટ સીટ, હવે PM મોદી અને ખડગે જ લઈ શકશે નિર્ણય

Lok Sabha Elections 2024 : દેશમાં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થશે. જોકે હજુ પણ કેટલીક બેઠકો પર ઉમેદવારો નામ જાહેર કરવાની બાબત અને સીટ શેયરિંગનો મામલો ઘણા પક્ષો માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. દેશની હૉટ સીટ ચંડીગઢ (Chandigarh Seat)ની વાત કરીએ તો ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) બંનેમાં આંતરિક રસાકસી જોવા મળી રહી છે. આ બેઠક પર બંને પક્ષોએ હજુ સુધી ઉમેદવારના નામ જાહેર કર્યા નથી, ત્યારે અહેવાલો મુજબ હવે આ બેઠકનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) જ કરશે.

ચંડીગઢ બેઠક પર કોંગ્રેસને બે દાવેદાર, હવે ખડગે જ લેશે નિર્ણય

સૂત્રોના જણાવ્યા મુજબ ચંડીગઢ બેઠક પર કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જોકે પાર્ટી સ્થાનિક ઉમેદવારને ઉતારવા માંગે છે. આ ઉપરાંત રસપ્રદ વાત એ છે કે, રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન પણ છે. આ ઉપરાંત ભાજપમાં આંતરિક વિવાદ અને શહેરના સ્થાનિક અને નવા ઉમેદવારને ઉતારવાની માંગ ઉઠવાના કારણે ભાજપ પણ ઉમેદવાર જાહેર કરી શકી નથી. આ જ કારણે આ વખતે ચંડીગઢની ચૂંટણીમાં હૉટ બની ગઈ છે.

PM મોદી ચંડીગઢ બેઠક માટે વ્યક્તિગત ચર્ચા કરશે

મીડિયા અહેવાલો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંડીગઢ બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવા માટે વ્યક્તિગત ચર્ચા અને બેઠક યોજશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. જોકે આ અંગે સત્તાવાર કોઈપણ માહિતી સામે આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ હાઈકમાન્ડ પાસે ચંડીગઢ બેઠક માટે ચાર નામ પહોંચ્યા છે, જેમાં વર્તમાન સાંસદ  કિરણ ખેરનું પણ નામ છે.

કોંગ્રેસમાં પણ ખેંચતાણ?

એવા અહેવાલો મળ્યા છે કે, કોંગ્રેસ તરફથી ચંડીગઢની બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન કુમાર બંસલ (Pawan Kumar Bansal) અને મનીષ તિવારી (Manish Tewari) ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના સ્થાનિક અધ્યક્ષે લોકલ નેતાને તક આપવાની વાત કહી છે. અગાઉ કોંગ્રેસે 2014 અને 2019ની ચૂંટણીમાં પવન બંસલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે બંને વખતે ભાજપના વર્તમાન ઉમેદવાર કિરણ ખેરે તેમને હાર આપી હતી.

ચંડીગઢની બેઠક કેમ હોટ બની?

એવું કહેવાય છે કે, મેયરની ચૂંટણી અને કોંગ્રેસ-AAPનું ગઠબંધન બે મુખ્ય કારણો હોઈ શકે છે. મેયરની ચૂંટણીમાં ભારે વિવાદ થયો હતી, જેમાં ભાજપના મનોજ સોનકરે 16 મત અને કોંગ્રેસ-આપે સંયુક્ત રીતે મુકેલા ઉમેદવાર કુલદીપકુમારને 12 મત મળ્યા હતા અને 8 મત 'અયોગ્ય' ગણી પ્રીઆઈડીંગ ઓફીસરે રદ કર્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ બેલેટ પેપરમાં છેડછાડ થઈ હોવાનો આક્ષેપ કરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ તપાસ કરવામાં આવી તો મતો કુલદીપના સમર્થનમાં હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે પ્રીસાઈડિંગ ઓફિસરની આકરી ઝાટકણી કાઢી હતી, તો બીજીતરફ ભાજપની પણ ટીકા થઈ હતી.

Gujarat