ખાસ જાણી લેજો! આવા વિદ્યાર્થીઓને નહીં મળે માર્કશીટ, CBSE બનાવ્યો કડક નિયમ
CBSE Attendance Rule: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSC) સ્કૂલોમાં બોર્ડ પરીક્ષાર્થીઓ માટે 75 ટકા હાજરી ફરજિયાત છે. પરંતુ, અમુક શાળાઓમાં ઓછી હાજરીની ફરિયાદને ધ્યાનમાં રાખીને, બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, શાળાએ ગયા વિના ન તો આંતરિક મૂલ્યાંકન (ઇન્ટરનલ અસેસમેન્ટ) કરવામાં આવશે કે ન તો પરિણામ જાહેર કરવામાં આવશે.
75 ટકા હાજરી ફરજિયાત
શાળાઓએ ખાતરી કરવી પડશે કે, વિદ્યાર્થીઓની હાજરી 75 ટકાથી ઓછી ન હોય. આ સાથે, શાળાઓ CBSEની પરવાનગી વિના કોઈપણ નવો વિષય ભણાવી શકશે નહીં. વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન યોગ્ય રીતે અને સમયસર પૂર્ણ કરવાની જવાબદારી શાળાઓની રહેશે.
જો વિદ્યાર્થીની હાજરી પૂરી નહીં હોય તો રિઝલ્ટ નહીં મળે
નવી શિક્ષણ નીતિ (NEP-2020) હેઠળ, બે વર્ષ માટે બધા વિષયોમાં આંતરિક મૂલ્યાંકન કરવામાં આવે છે. જો વિદ્યાર્થીઓ શાળાએ નહીં આવે, તો તેમનું આંતરિક મૂલ્યાંકન શક્ય નહીં બને અને પરિણામ જાહેર કરવામાં નહીં આવે.
સોમવારે જાહેર કરી નોટિસ
સોમવારે (15 સપ્ટેમ્બર) CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં જણાવાયું હતું કે, ધોરણ 10 માટે ધોરણ 9 અને ધોરણ 12 માટે ધોરણ 10 અને 11નો અભ્યાસ પૂરો કરવાનો રહેશે. ધોરણ 10માં વિદ્યાર્થી પાંચ ફરજિયાત વિષય સિવાય વધારાના બે વિષય અને ધોરણ 12માં વધારાનો એક વિષય લઈ શકે છે.
75 ટકાથી ઓછી હાજરી પર પરીક્ષામાં નહીં બેસવા મળે
CBSE પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજે કહ્યું કે, આ નિયમો વિદ્યાર્થીઓ અને શાળા બંનેને સમાન રીતે લાગુ પડશે અને કોઈપણ સંજોગોમાં તેને અવગણી શકાય નહીં. આ ફેરફારને કારણે, જે વિદ્યાર્થીઓની હાજરી 75 ટકાથી ઓછી છે તેમને પરીક્ષામાં બેસવાથી રોકી શકાય છે.