ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્યઃ નવરાત્રિ પહેલાં હાઇકોર્ટની કડક ટિપ્પણી
Gujarat High Court on Noise Pollution: ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમકોર્ટે 2005માં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતું. તેમ છતાં આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું જાહેરનામું, નોઇસ પોલ્યુશન કંટ્રોલ રેગ્યુલેશન સહિતની જોગવાઈઓ હોવા છતાં ધ્વનિ પ્રદૂષણનું ભયાનક બેકાબૂ પબ્લિક ન્યુસન્સ ચાલુ રહેતા હાઇકોર્ટમાં થયેલી કન્ટેમ્ટ પિટિશનની સુનાવણી સોમવારે હાથ ધરાઈ હતી. સોમવારે (15 સપ્ટેમ્બર) જસ્ટિસ એ.એસ સુપહીયા અને જસ્ટિસ એલ. એસ. પીરઝદાની ખંડપીઠે ધ્વનિ પ્રદૂષણના ન્યુસન્સ અને તેને મર્યાદિત રાખવામાં સત્તાધીશોની નિષ્ફળતાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના ચુકાદા અને સત્તાધીશો દ્વારા જાહેર માર્ગદર્શિકાઓનું કડકાઈથી પાલન કરાવવા સરકારને નિર્દેશ કર્યો હતો.
હાઇકોર્ટની ગંભીર ટકોર
કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ગંભીર ટકોર કરી હતી કે, રસ્તાઓ પર 20-20 ફૂટ ઊંચા ડીજે અને વધુ પડતા અવાજ(ઘોંઘાટ) હોય અને છતાં પોલીસ-દ્વારા પગલાં ન લેવાય તે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય. ડીજેનું ભયંકર ન્યૂસન્સ તમારું માથું ફાડી નાખે છે, જે અસહનીય હોય છે.
પોલીસ અને સત્તાધીશોને કડક કાર્યવાહીનો આદેશ
હાઇકોર્ટે પોલીસ અને સંબંધિત સત્તાધીશોને ધ્વનિ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવા પણ તાકીદ કરી હતી. ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો કે, ધ્વનિ પ્રદૂષણની સમસ્યા ગંભીર અને જનમાનસ પર અસર કરનારી છે.
શું છે ડીજે અંગે સરકારની માર્ગદર્શિકા?
સોમવારે (15 સપ્ટેમ્બર) રાજય સરકાર અને જીપીસીબી તરફથી હાઇકોર્ટને જણાવાયું હતું કે, ગૃહવિભાગ અને જીપીસીબી સત્તાધીશો દ્વારા ધ્વનિ પ્રદૂષણને નાથવા સુપ્રીમકોર્ટ એને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં રાખી એસઓપી-ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહવિભાગના પરિપત્ર મુજબ, રાત્રે 10-00 વાગ્યાથી સવારના 6-00 વાગ્યા સુધી ડીજે અને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ ફરમાવાયેલો છે. ડીવાયએસપી કક્ષાના અધિકારી જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ માટે મંજૂરી આપશે. આ સિવાય 75 ડેસિબલથી વધુ અવાજ ન હોવો જોઈએ અને જે એરિયામાં જેટલો અવાજ હોય તેનાથી 10 ડેસિબલ વધે નહીં તેવા નિયમો છે. એસઓપી મુજબ, સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવું પણ ફરજિયાત છે. જો નિયત માપદંડ કરતા વધુ પ્રમાણમાં અવાજ હોય તો પોલીસ કાર્યવાહી કરી શકે છે અને ઓડિયો સિસ્ટમ પણ જપ્ત કરી શકે છે.
રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
સરકારપક્ષ તરફથી વધુમાં જણાવાયુ કે, રાતના 10-00 વાગ્યાથી સવારના 6-00 વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ, બાંધકામ અને ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ છે. જાહેર સ્થળોએ નિયત માત્રા કરતાં જો 10 ડેસિબલથી અવાજ વધતો હોય તો પોલીસ કલમ-188 હેઠળ પગલાં ભરશે. આ ગુનામાં જેલ અને દંડની પણ જોગવાઈ છે. વળી, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો વગેરેની આસપાસ 100 મીટરના ઘેરાવામાં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત છે. લાઉડ સ્પીકર કે ડીજેના ઉપયોગના સાત-દિવસ પહેલાં પોલીસની મંજૂરી લેવી જરૂરી છે.
અરજદારની મહત્ત્વની દલીલ
અરજદારપક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, ડીજેનો અવાજ 129 ડેસિબલ કે તેથી પણ વધુનો હોય છે અને તે હવે એક ભયંકર ન્યુસન્સ અને દૂષણ બની રહ્યું છે. આટલા મોટા ભયંકર અવાજના કારણે લોકોના જીવ પણ જઈ શકે છે. ખાસ કરીને બીમાર, વૃદ્ધ અને બાળકોને બહુ મોટું નુકસાન થઈ શકે છે. અત્યારે ડીવાયએસપી કક્ષાના નહીં પરંતુ પીઆઈ કક્ષાના અધિકારી ડીજેની પરવાનગી આપી રહ્યા છે. શૈક્ષણિક સંકુલ સાયલન્ટ ઝોનમાં આવે છે તેમ છતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે એક જ વર્ષમાં સાઉન્ડ સિસ્ટમના વપરાશ માટેની 200 મંજૂરીઓ આપી દીધી છે. પોલીસ અને સત્તાધીશો દ્વારા આવા ડીજે, લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમને લઈ ચોક્કસ મોનિટરિંગ, ડેસિબલની ગણતરી પેનલ્ટી સહિતનું કોઈ ચોક્કસ મિકેનિઝમ જ નથી, તેથી આ બાબતે ચોકક્સ પગલાં લેવા તે જરૂરી છે.
હાઇકોર્ટે જણાવી ગ્રાઉન્ડ રિયાલિટી
હાઇકોર્ટે સરકાર, પોલીસ અને સત્તાધીશોએ સવાલ કરતાં જણાવ્યું કે, જો તમારી પાસે પરિપત્રો, એસઓપી અને પોલિસી બધું જ છે તો પણ ધ્વનિ પ્રદૂષણના ન્યુસન્સને કેમ ડામી શકાતુ નથી? સુપ્રીમકોર્ટના ચુકાદાની માર્ગદર્શિકા અને નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. હાઇકોર્ટે તાજેતરમાં બે ડીજે વાળા વચ્ચે થયેલી બબાલ અંગે અખબારોમાં ચમકેલા સમાચારની પણ નોંધ લીધી હતી. આ દરમિયાન હાઇકોર્ટે સરકાર પક્ષને બહુ માર્મિક ટકોર કરી હતી કે, અમારા મતે, ડીજે અંગેની પરવાનગી ડીવાયએસપી કક્ષાના અધિકારી આપતા નથી. જો આપતા હોય તો સારુ પરંતુ અમારા મતે, કોન્સ્ટેબલ કે નીચલા લેવલના અધિકારી -મંજૂરી આપતા હોય છે. તમે એસઓપી જારી કરી છે, તેમાં જો 25 ટકા પાલન થાય તો પણ ઘણું સારું પરંતુ વાસ્તવિકતા એ છે કે, ગ્રાઉન્ડ રિયાલિટી કંઇક અલગ છે. ખરેખર તો, કોઈ નિયમોનું પાલન થતું જ નથી અને દેખીતી રીતે ઉલ્લંઘન જોવા મળે છે.
કોર્ટમાં શું મુદ્દાઓ ઉઠાવાયા હતા?
કન્ટેમ્પ્ટ પિટિશનમાં રજૂઆત કરાઈ હતી કે, ધ્વનિ પ્રદૂષણ મામલે વર્ષ 2022માં થયેલી જાહેરહિતની રિટ અરજીમાં હાઈકોર્ટે તા. 4 માર્ચ, 2024ના રોજ શહેર પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત સરકારના સત્તાધીશોને ઉદ્દેશીને હુકમ કરાયેલો છે પરંતુ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં તેનું પાલન જોઈએ તે પ્રકારે થઈ રહ્યું જ નથી. ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમકોર્ટે 2005ના એક મહત્ત્વના ચુકાદા મારફતે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે. તો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તા.૩-૧૨-૨૦૧૯ના જાહેરનામા અને માર્ગદર્શિકા ઉપરાંત, નોઇઝ પોલ્યુશન(રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-૨૦૦૦ની રૂલ-૫(૩), એર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન)એકટ સહિતની જોગવાઈઓ માત્ર કાગળ પર જ રહી જાય_ છે અને આ તમામ નિર્દેશો-માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે કડકાઈથી અસરકારક પાલન-કરાવવામાં સરકાર, પોલીસ, મ્યુનિસિપલ કમિશનર સહિતના સંબંધિત સત્તાવાળાઓ સરેઆમ નિષ્ફળ રહ્યા છે. આ સંજોગોમાં તેઓની વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અને બંધારણની કલમ-૨૧૫ હેઠળ જરૂરી કાર્યવાહી કોર્ટે હાથ ધરવી જોઈએ.