ટ્રિપલ તલાક ઉપર સરકાર બીજી વખત વટહુકમ લાવી, કેબિનેટની મંજૂરી
Updated: Feb 20th, 2019
નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2019, બુધવાર
કેન્દ્ર સરકાર ફરી વખત ટ્રિપલ તલાક વટહુકમને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં વટહુકમ ઉપર નિર્ણય લેવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ પીએમ નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ટ્રિપલ તલાક વટહુકમને મંજૂરી આપવામાં આવી. આ વટહુકમ બીજી વખત લાવવામાં આવ્યો છે. ટ્રિપલ તલાક બિલ રાજ્યસંભામાં અટવાયેલું પડ્યું છે. પરંતુ હવે સંસદનું સત્ર લોકસભા ચૂંટણી બાદ જ થશે એ સંજોગોમાં સરકારે બીજી વખત વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો.
ટ્રિપલ તલાક વટહુકમ અનુસાર મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ વખત તલાક કહીને મતલબ કે તલાક-એ-બિદ્દત દ્વારા લગ્ન તોડવાની મનાઇ છે. આવું કરનારાને સજાની જોગવાઇ કરવામાં આવી છે. વટહુકમ અનુસાર એક વખતમાં ટ્રિપલ તલાક આપવી ગેરકાયદેસર ગણાશે અને એ માટે ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે. પીડિત મહિલા કે તેના નિકટના સ્વજન આ અંગે ફરિયાદ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે 13 ફેબ્રુઆરીના દિવસે રાજ્યસભાનું સત્ર સમાપ્ત થયું હતું. આ સત્રમાં પણ મોદી સરકાર ટ્રિપલ તલાક બિલ પસાર કરાવી શકી નહોતી. લોકસભામાં આ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં પસાર થઇ ચૂક્યું છે.