હાથ પર બાંધેલી ઘડિયાળ, પાન કાર્ડ અને રજાની અરજી પરના નામથી થઈ મૃતદેહોની ઓળખ
Updated: Feb 16th, 2019
નવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર
પુલવામા હુમલામાં શહીદ 40 જવાનોના મૃતદેહ કોફિનમાં તેમના ઘરે પહોંચી રહ્યા છે અને મૃતદેહની જે હાલત છે તે જોઈને લોકોનો ગુસ્સો બેવડાઈ રહ્યો છે.
બ્લાસ્ટના કારણે જવાનોના શરીરના જે હાલ થયા છે તેનુ વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી.સીઆરપીએફ માટે પણ બ્લાસ્ટ બાદ મૃતદેહોની ઓળખ કરવી બહુ કપરુ કામ બની ગયુ હતુ.કારણકે બ્લાસ્ટમાં 200 કિલો વિસ્ફોટકો વપરાયા હતા.જેના કારણે મૃતદેહો વેર વિખેર થઈને પડ્યા હતા.ક્યાંક શરીરનો એક ભાગ તો ક્યાંક શરીરનો બીજો ભાગ પડયો હતો.
શરીરના તમામ અંગોને ભેગા કરીને બાદમાં કયો હિસ્સો કોનો છે તે નક્કી કરવાનુ દર્દનાક કામ સીઆરપીએફના જવાનોના ભાગે આવ્યુ હતુ.મૃતદેહની ઓળખ કરવા માટે આધાર કાર્ડ, આઈડી કાર્ડ અને બીજા સામાનની મદદ લેવાઈ હતી.
કેટલાકની ઓળખ ગળામાં લપેટાયેલા આઈડી કાર્ડથી થઈ હતી ,કેટલાકન પાન કાર્ડની મદદથી ઓળખવામાં આવ્યા હતા.કેટલાક જવાનોની રજાની અરજી તેમના ખિસ્સામાંથી મળી હતી.જેના આધારે તેમની ઓળખ થઈ હતી.
કેટલાક જવાનોની ઓળખ હાથમાં પહેરેલી ઘડિયાળથી થઈ હતી.જે હુમલામાં બચેલા બીજા જવાનોએ ઓલખી બતાવી હતી.મૃત જવાનોનો ખિસ્સામાં રહેલા પર્સ પણ તેમની ઓળખનો આધાર બન્યા હતા.