‘ભારત પર ખરાબ નજર નાખશે તો...’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી
Anurag Thakur Warn Pakistan : પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે પાકિસ્તાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશના પાંવડા સાહિબમાં આજે (22 મે) એક જનસભાને સંબોધતી વખતે અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરે દેખાડ્યું કે, જો પાકિસ્તાન ભારત પર ખરાબ નજર નાખશે, તો તેની આંખો ફોડી નાખવામાં આવશે. હાલ માત્ર અમે આતંકવાદી શિબિરોને નષ્ટ કરી છે, તેમની એરસ્ટ્રીપ્સને નુકસાન પહોંચાડ્યું છે અને તેમના એરબેઝ પર હુમલો કર્યો છે.’
ભારત હવે સહન કરતું નથી, જડબાતોડ જવાબ આપે છે : અનુરાગ ઠાકુર
અનુરાગે પાકિસ્તાનને કડક શબ્દોમાં જવાબ આપતા કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965માં, 1971માં અને 1999માં કારગિલ યુદ્ધ થયું છે અને દરેક વખતે ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી છે. આપણે ઓપરેશન સિંદૂર પાર પાડીને દેખાડી દીધું છે કે, ભારત હવે સહન કરતું નથી, જડબાતોડ જવાબ આપે છે.’
‘જનાજો ઉઠાવવા માટે પણ કોઈ નહીં મળે’
ભાજપ સાંસદે કહ્યું કે, ભારતે તાજેતરમાં જ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે અને પાકિસ્તાનની સૈન્ય ક્ષમતાઓ પર પણ ભયાનક પ્રહાર કર્યો છે. આપણે પાકિસ્તાનની એરસ્ટ્રીપોને નષ્ટ કરી છે, તેમના સૈન્ય ઠેકાણાનો નિશાન બનાવ્યા છે. જો હવે પાકિસતાન આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરશે તો એવી હાલત કરીશું કે, જનાજો ઉઠાવવા માટે પણ કોઈ નહીં મળે અને જનાજામાં રોવાવાળો પણ નહીં મળે.
પહલગામ હુમલાનો ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં પ્રવાસીઓ સહિત 26 લોકોના મોત થયા છે. ત્યારબાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર સ્ટ્રાઈક કરી તેને ધ્વસ્ત કરી દીધા હતા. પછી પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો, જોકે ભારતીય સેનાએ તેનો પણ ખાતમો કરી નાખ્યો હતો. ભારતીય સેનાએ વળતા જવાબમાં પાકિસ્તાનના અનેક એરબેઝ નષ્ટ કરી દીધા હતા. છેવટે પાકિસ્તાને સીઝફાયર માટે ભારતને વિનંતી કરવી પડી હતી.