વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ ઉમેદવારોને ફંડ આપ્યું: આમ આદમી પાર્ટીનો ગંભીર આક્ષેપ
AAP On BJP And Congress: દિલ્હીમાં થોડા સમય પહેલા થયેલી વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો એકવાર ફરી ગરમાયો છે. ચૂંટણીમાં મળેલી હારને લઈને આમ આદમી પાર્ટીએ ગંભીર આરોપ લગાવતાં મોટો દાવો કર્યો છે. AAP કહ્યું કે, આ ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે મિલીભગત હતી. AAP નેતા અનુરાગ ઢાંડાએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસે બીજેપીના ઈશારે કામ કર્યું છે. તેમણે દાન રુપે કોંગ્રેસને 44 કરોડ રુપિયા કેશ મળવા પર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: કુટુંબમાં એકમાત્ર કમાતી મણિપુરની ક્રૂ મેમ્બર યુવતી પણ અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામી
'દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસની મિલીભગત હતી'
AAP નેતા અનુરાગ ઢાંડાએ શનિવારે એક પ્રેસ કોન્ફરેન્સ કરીને કોંગ્રેસ પાર્ટી પર અને બીજેપી પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસની મિલીભગત હતી. ચૂંટણી આયોગમાં દાખલ કરવામાં આવેલા આંકડાથી સાબિત થાય છે કે, કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે મિલીભગતથી દિલ્હીમાં ચૂંટણી લડી હતી.'
કોંગ્રેસે ભાજપ-આપના ઈશારે ચૂંટણી લડી રહી હતી
આમ આદમી પાર્ટીના નેતાએ એમ પણ કહ્યું કે, 'દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન વારંવાર ચર્ચા થઈ રહી હતી કે, શું કોંગ્રેસ ભાજપ સાથે મળીને દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી રહી છે. અમે અનેક આરોપો લગાવ્યા છે કે, ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓની બેઠકો પર કોંગ્રેસને નિશાન બનાવી રહી છે અને તેમને ભંડોળ પૂરું પાડી રહી છે. ભાજપ દ્વારા તેમને પૈસા પૂરા પાડવામાં આવ્યા હતા, જેથી તેઓ સરળતાથી વોટ અપાવી ભાજપને ફાયદો પહોંચાડી શકે.
'કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ જ નહોતું'
તેમણે એમ પણ કહ્યું કે, 'ચૂંટણી આયોગમાં દરેક પાર્ટીઓના દસ્તાવેજ જમા કરાવવામાં આવ્યા હતા કે, ચૂંટણી દરમિયાન તેમણે કેટલો ખર્ચ કર્યો, કેટલું ફંડ મળ્યું. તો તેમાં ખૂબ જ આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા હતા, જે એ દાવાને મજબૂત બનાવે છે કે, શું કોંગ્રેસ દિલ્હી વિધાનસભા ચૂંટણી ભાજપના ઈશારે લડી રહી હતી? દિલ્હીને દરેકને ખબર હતી કે, મુખ્ય જંગ ભાજપ અને આપ વચ્ચે છે. કોઈ સર્વે અથવા કોઈ વ્યક્તિએ એવું નહોતુ કહી રહ્યું કે, કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ છે. દરેક કહી રહ્યા હતા કે, કોંગ્રેસને એક પણ સીટ નહીં મળે.'