બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં થયેલા સીટ વહેંચણીના ફોર્મ્યુલાથી નારાજ ચાલી રહેલા હિન્દુસ્તાની અવામ મોરચા(HAM)ના પ્રમુખ જીતનરામ માંઝી અને રાષ્ટ્રીય લોક મોરચા(RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને મનાવવા માટે ભાજપ અનેક પ્રયાસ કરી રહી છે.
નારાજ માંઝી અને કુશવાહાને વધુ 1-1 બેઠક અપાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓછી બેઠકો મળવાના કારણે માંઝી અને કુશવાહા નારાજ થયા હતા, જોકે હવે બંને નેતાઓને ભાજપે એક-એક બેઠક વધારે આપવાની તૈયારી કરી લીધી છે. આ નવા ફોર્મ્યુલા હેઠળ બંને પક્ષોને અગાઉ નક્કી થયેલી 6-6 બેઠકોને બદલે હવે 7-7 બેઠકો મળી શકે છે. ભાજપ નેતાઓએ દિલ્હીમાં માંઝી સાથે અને પટણામાં કુશવાહા સાથે ચર્ચા-વિચારણા કરી છે. આ ફોર્મ્યુલા પર અંતિમ મહોર લાગ્યા બાદ એનડીએ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો : બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ
માંઝીએ 15 અને કુશવાહાએ 24 બેઠકો જોઈતી હતી
અગાઉ 12 ઑક્ટોબરે જાહેર કરાયેલા ફોર્મ્યુલા મુજબ, BJP અને JDUને 101-101 બેઠકો, ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો, જ્યારે HAM અને RLMને 6-6 બેઠકો ફાળવવામાં આવી હતી. જોકે, માંઝી અને કુશવાહાએ આનાથી નારાજ થયા હતા. માંઝીએ 15 બેઠકો અને કુશવાહાએ 24 બેઠકોની માંગણી કરી હતી.
ઓછી બેઠકો મળતા માંઝી અને કુશવાહા નારાજ થયા હતા
ઉલ્લેખનીય છે કે, જનતા દળ યુનાઈટેડ (JDU)એ ટ્વિટ કરીને કહ્યું હતું કે, માંઝી (Jitan Ram Manjhi) અને કુશવાહા (Upendra Kushwaha) 13 ઓક્ટોબરે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, જોકે પછીથી જેડીયુની ટ્વિટ પણ ડિલીટ થઈ ગઈ હતી. NDAએમાં પરસ્પર સંમતી મળ્યા બાદ બેઠકોની વહેંચણી થઈ હોવાના સાથી પક્ષોએ દાવા કર્યા હતા. માંઝી સિવાય તમામ નેતાઓએ એક જ પ્રકારના ટ્વિટ કર્યા હતા. જોકે ત્યારબાદ માંઝીએ કહ્યું કે, અમને મળેલી બેઠકોથી અમે સંતુષ્ઠ છીએ, પરંતુ ઓછી બેઠક મળવાનું નુકસાન એનડીએએ ભોગવવું પડશે. એટલું જ નહીં કુશવાહાએ પણ શેર-શાયરીઓ કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો : બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, તારાપુરથી સમ્રાટ ચૌધરી મેદાનમાં
NDAના ઉમેદવારો 15થી 18 ઑક્ટોબરમાં ઉમેદવારી નોંધાવશે
13 ઑક્ટોબરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે જાહેરાત કરી છે કે, એનડીએના તમામ ઉમેદવારો 15થી 18 ઑક્ટોબરમાં ઉમેદવારી નોંધાવી દેશે. રાજ્યની 243 વિધાનસભા બેઠકો માટે 6 નવેમ્બરે અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.