મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન
Updated: Feb 21st, 2019
અજમેર, તા. 21. ફેબ્રુઆરી 2019 ગુરુવાર
અજમેરના એક મંદિરની બહાર ભીખ માંગતી મહિલા દેવકી શર્માની જીવનભરની કમાણી શહિદોને સમર્પિત કરી દેવાઈ છે.
દેવકી શર્માની ઈચ્છાને મંદિરના ટ્રસ્ટીઓએ માન આપ્યુ છે.જેમનુ નિધન 6 મહિના પહેલા થઈ ગયુ હતુ. અજમેરના બજરંગ ગઢ ખાતે આવેલા માતા મંદિર પર દેવકી શર્મા સાત વર્ષથી ભીખ માંગતા હતા.મહિલાએ લોકોએ આપેલી રકમમાંથી 6.61 લાખ રુપિયા બચાવ્યા હતા.જે આ વિસ્તારની બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં જમા હતા.
દેવકી શર્માએ પોતે જીવતા હતા ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ સમક્ષ ઈચ્છા જાહેર કરી હતી કે મારા મોત બાદ મેં બચાવેલા પૈસા કોઈ ઉમદા કામ માટે વાપરજો.મંદીરના ટ્રસ્ટી સંદિપભાઈના કહેવા પ્રમાણે દેવકી શર્માની અંતિમ ઈચ્છા પુરી કરવામાં આવી છે.તેમણે બચાવેલા પૈસા શહીદોના પરિવારજનોને દાન કરાયા છે.આ રકમનો ડ્રાફ્ટ અમે અજમેર કલેક્ટરને સોંપી દીધો છે.આ રકમ મુખ્યમંત્રી સહાયતા ફંડમાં જમા થશે.જેમાંથી પુલવામા હુમલામાં શહીદ થયેલા રાજસ્થાનોના જવાનોના પરિવારજનોને સહાયતા કરાશે.
દેવકી શર્મા ભીખમાં મળતા પૈસાને ઘરે રાખતી હતી.થોડા સમય પહેલા તેમનુ નિધન થયુ ત્યારે ઘરમાં તપાસ થઈ તો પથારી નીચેથી બીજા દોઢ લાખ રુપિયા નિકળ્યા હતા.એ પૈસા પણ ટ્રસ્ટે બેંકમાં જમા કરાવી દીધા હતા.