એર સ્ટ્રાઈક થઈ ત્યારે આતંકવાદી કેમ્પમાં હતો મસૂદનો નજીકનો સગોઃ ભારત સરકાર
Updated: Feb 26th, 2019
નવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર
પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક બાદ ભારત સરકાર તરફથી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિજય ગોખલેએ સત્તાવાર રીતે તમામ જાણકારી આપી હતી.
તેમણે પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે 14 જાન્યુઆરીએ પુલવામા હુમલાને પાકિસ્તાનના બહાવલપુરમાં બેઠેલા જૈશ એ મહોમ્મદના સરગણા મસૂદ અઝહરે અંજામ આપ્યો હતો.પીઓકેમાં સંખ્યાબંધ આતંકવાદી કેમ્પ ચાલી રહ્યા છે પણ પાકિસ્તાન આ કેમ્પ બંધ કરાવવા માટે કોઈ કાર્યવાહી કરી રહ્યુ નથી. ભારત પાસે પાકી જાણકારી હતી કે જૈશના બીજા આતંકવાદીઓ ભારતમાં ફરી આત્મઘાતી હુમલા કરી શકે છે.એ પછી ભારત સરકારે પીઓકેમાં આવેલા આતંકવાદી કેમ્પો પર કાર્યવાહી કરી છે.જેમાં બાલાકોટમાં જૈશના સિનિયર કમાન્ડર સહિતના આતંકવાદીઓ માર્યા ગયા છે.જૈશના સૌથી મોટા કેમ્પને નુકસાન પહોંચ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે નાગરિકોને નુકસાન ના થાય તે વાતનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.આ આતંકવાદી કેમ્પો જંગલમાં ચાલતા હતા.હુમલા વખતે મસૂદ અઝહરનો નજીકનો સબંધી યુસુફ અઝહર પણ કેમ્પમાં જ હતો.તે પણ માર્યો ગયો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે.