આસામના લઠ્ઠાકાંડનો કહેર, 114 લોકો અત્યાર સુધીમાં મોતને ભેટયા
Updated: Feb 24th, 2019
ગુવાહાટી, તા. 24. ફેબ્રુઆરી 2019 રવિવાર
આસામના ગોલાઘાટ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મોતને ભેટનારા લોકોની સંખ્યા 114 પર પહોંચી છે. બીજા 200 થી વધારે લોકો બીમાર છે.હજી પણ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
સતત ત્રીજા દિવસે પણ લોકોના મોત થઈ રહ્યા હોવાથી સમગ્ર આસામમાં આ ઘટનાના પગલે રોષની લાગણી છે.દરમિયાન આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે શનિવારે હોસ્પિટલમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.સરકારે મૃતકના પરિવારજનોને 2 લાખની અને સારવાર લઈ રહેલા લોકોને 50000ની સહાયની જાહેરાત કરી છે.
આ પહેલા ભાજપના ધારાસભ્યે કહ્યુ હતુ કે 250થી વધારે લોકોએ ગુરુવારે એક જ દુકાનમાંથી દારુ ખરીદીને પીધો હતો.આ તમામ લોકો ચાના બગીચામાં કામ કરનારા શ્રમજીવીઓ હતા.
આ મામલામાં બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે.મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.જ્યારે બે એક્સાઈઝ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઝેરી દારુ પીધા બાદ તબિયત લથડવાના કારણે લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા ત્યારે 12 લોકોને તો ડોક્ટરોએ તે જ સમયે મૃત જાહેર કર્યા હતા.