Army Chief Upendra Dwivedi Statement: મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે (1 નવેમ્બર) પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 'ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન સિદ્ધાંતો અને ટેક્નિકલ શક્તિથી લડાઈ લડી અને પાકિસ્તાનમાં નાગરિકો કે સૈન્ય ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. ભારતે પાડોશી દેશમાં માત્ર આતંકવાદી ઠેકાણાઓને જ નષ્ટ કર્યા.' જણાવી દઈએ કે, આર્મી ચીફ પોતાની સ્કૂલ-કોલેજની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
ટ્રમ્પ પર પણ કર્યો કટાક્ષ
રીવામાં TRS કોલેજના વિદ્યાર્થીઓને સંબોધતા જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે, 'દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને આગળના પડકારો અનિશ્ચિતતા અને જટિલતાથી ભરેલા હશે. આવનારા જોખમો અસ્થિરતા, અનિશ્ચિતતા, જટિલતા અને અસ્પષ્ટતાથી ભરેલા છે. આજે આપણે જે પડકારનો સામનો કરી રહ્યા છીએ તે આવતીકાલે વધુ મોટો હશે. પછી ભલે તે સરહદ સુરક્ષા હોય, આતંકવાદ હોય, કુદરતી આફતો હોય કે સાયબર યુદ્ધ હોય - આની સાથે, અવકાશ યુદ્ધ, ઉપગ્રહ હુમલાઓ, રાસાયણિક-જૈવિક જોખમો અને અફવાઓ પણ યુદ્ધનો ભાગ બની ગયા છે.' આ સંદર્ભમાં તેમણે ટ્રમ્પના બેફામ નિવેદનો પર ટિપ્પણી કરતા કહ્યું, 'ટ્રમ્પ આજે જે કરી રહ્યા છે, કદાચ ટ્રમ્પ પોતે પણ જાણતા નથી કે તેઓ કાલે શું કરશે.'
આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ'
તેમણે કહ્યું કે, 'અમે તે જગ્યાઓ પર હુમલા કર્યા જ્યાં આતંકવાદી હાજર હતા. અમે નિર્દોષ નાગરિકો કે રક્ષા ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. અમે ઓપરેશન સિંદૂરમાં પોતાના ટાર્ગેટને હાંસલ કર્યું અને પાકિસ્તાનને એ જવાબ આપ્યો કે અમે તેમના જેવા નથી.
આ પણ વાંચો: 'ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત', રાયપુરમાં બોલ્યા PM મોદી
પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 6 અને 7 મે દરમિયાન ઓપરેશન સિંદૂર શરુ કર્યું, જેમાં પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારોમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલાના કારણે 4 દિવસ સુધી જબરદસ્ત સંઘર્ષ થયો જે 10 મેના રોજ સૈન્ય કાર્યવાહી રોકવાની સહમતિ સાથે પૂર્ણ થયો.'
સેના પ્રમુખે કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર સફળ રહ્યું કારણ કે અમે પોતાના સિદ્ધાંતો અને ટેક્નિકલ શક્તિઓથી લડાઈ લડી. અમે એ નક્કી કર્યું કે પાકિસ્તાનમાં કોઈ પણ નિર્દોષ નાગરિકને નુકસાન ન પહોંચે. અમે માત્ર આતંકવાદીઓ અને તેના આકાઓને નિશાન બનાવ્યા. અમે એ પણ ધ્યાન રાખ્યું કે, જ્યારે પાર્થના કે નમાઝ અદા કરાઈ રહી હોય ત્યારે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.'
તેમણે કહ્યું કે, 'તમામ નાગરિકોને 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે રાષ્ટ્ર નિર્માણની દિશામાં કામ કરવું જોઈએ.'


