PM Modi in Raipur: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેઓ રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ મહોત્સવ એટલે કે 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને અવલોકન કર્યું.
આ અવસરે પીએમ મોદીએ માર્ગ, ઉદ્યોગ, આરોગ્ય સેવા અને ઊર્જા જેવા મુખ્ય ક્ષેત્રો સાથે સંકળાયેલી ₹ 14,260 કરોડથી વધુની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
શહીદ વીર નારાયણ સિંહ સ્મારકનું અવલોકન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને અવલોકન કર્યું. આ સંગ્રહાલય રાજ્યના આદિવાસી સમુદાયોના સાહસ, બલિદાન અને દેશભક્તિની વિરાસતનું સંરક્ષણ અને પ્રદર્શન કરશે.
રાજ્ય નક્સલવાદ અને પછાતપણાથી ઓળખાતું હતું - પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 'છત્તીસગઢે છેલ્લા 25 વર્ષોમાં અદ્ભુત અને પ્રેરણાદાયક પરિવર્તન અનુભવ્યું છે. જે રાજ્ય અગાઉ નક્સલવાદ અને પછાતપણા માટે જાણીતું હતું, તે આજે સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયિત્વના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે.' વડાપ્રધાનના મતે, આ પરિવર્તન પાછળ છત્તીસગઢની જનતાની મહેનત અને ભાજપની સરકારના દૂરંદેશી નેતૃત્વનો ફાળો છે.
આ પણ વાંચો: ખરાબ આરોગ્ય કે અન્ય કોઈ કારણ? દિગ્ગજ નેતાએ રાજકારણથી વિરામ લેતાં તર્ક-વિતર્ક
ભારત આતંકવાદીઓની કમર તોડી રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે, 'રામથી રાષ્ટ્ર'નો એક અર્થ માનવતા વિરોધી શક્તિઓ અને આતંકના વિનાશનો સંકલ્પ પણ છે, જેનું પ્રત્યક્ષ ઉદાહરણ ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, 'આતંકના વિનાશનો સંકલ્પ કરીને ભારત આતંકવાદીઓની કમર તોડી રહ્યું છે. ભારત આજે નક્સલવાદ અને માઓવાદી આતંકને પણ સમાપ્ત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમજ ભારત હાલમાં અભૂતપૂર્વ વિજયના ગર્વથી ભરેલું છે અને ગર્વની આ જ લાગણી આજે છત્તીસગઢ વિધાનસભાના આ નવા પરિસરમાં ચારેય તરફ અનુભવાઈ રહી છે.'



