ભારતીય સેનામાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’, રશિયા દ્વારા ડિલિવરીની તૈયારી પૂર્ણ
Image - X |
INS Tamal Warship : પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભારતીય સેનામાં અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’ સામેલ કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ભારત સરકાર સેનાનો કાફલો વધારવાનો સતત પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયાના યાનાતર શિપયાર્ડમાં બનેલું યુદ્ધ જહાજ આઈએનએસ તમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે.
યુદ્ધ જહાજ ભારતીય સેનામાં જૂન-2025માં સામેલ થશે
વર્ષ 2016માં ભારત-રશિયા વચ્ચે કુલ ચાર યુદ્ધ જહાજો બનાવવા માટે સમજૂતી થઈ હતી, તે મુજબ રશિયામાં બે અને ભારતમાં બે એમ કુલ આવા ચાર યુદ્ધ જહાજો બનાવવાનો કરાર કરાયો હતો. આ ચારેય યુદ્ધ જહાજો સેનામાં સામેલ કરાશે. આઈએનએસ તમાલને જૂન-2025માં ભારતીય નૌસેનામાં ઔપચારિક સામેલ કરાશે. આ યુદ્ધ જહાજથી ભારતીય સેનાની દરિયામાં વધુ તાકાત વધશે.
INS તમાલની ખાસિયત
આઈએનએસ તમાલમાં અત્યાધુનિક ગાઈડેડ મિસાઈલ સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે આકાશ, પાણી અને સપાટી પર એક સાથે હુમલો કરવામાં સક્ષમ છે. આ જહાજ બ્રહ્મોસ એન્ટી-શિપ મિસાઈલથી સજ્જ છે તેમજ એડવાન્સ સેન્સર તેમજ હથિયાર સિસ્ટમો સામેલ છે. એટલે કે આઈએનએસ તમાલથી સુપરસોનિક મિસાઈલ ઝીંકી શકાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જહાજ પર મલ્ટી-રોલ હેલિકોપ્ટર પણ સરળતાથી ઉતરી શકે છે.
ભારત હવે પોતાના યુદ્ધજહાજોને સ્વદેશી રીતે ડિઝાઈન અને નિર્માણ કરવા પર ધ્યાન આપી રહ્યું હોવાથી, INS તમાલ ભારતનું અંતિમ આયાત કરેલ યુદ્ધ જહાજ માનવામાં આવે છે. વર્ષ 2016માં ભારત-રશિયા વચ્ચે ‘ચાર સ્ટીલ્થ ફ્રિગેટ નિર્માણ’ પર સમજૂતી કરવામાં આવી હતી. કરાર મુજબ રશિયામાં બે અને ભારતમાં બે યુદ્ધ જહાજો બનાવાયા છે. ચાર યુદ્ધ જહાજોમાંથી આઈએનએસ તમાલ બીજું યુદ્ધ જહાજ છે, જે રશિયામાં બનેલું છે.
આ પણ વાંચો : ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ