India

TMC સાંસદ મોઈત્રા પર ઈંડા-રીંગણા ફેંકાયા, ઓફિસને પણ ટાર્ગેટ કરાઈ ! ભાજપ સમર્થકો પર કર્યો આક્ષેપ

By GS Team
1 Jul 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં TMC સાંસદ મહુઆ મોઇત્રાએ ભાજપ સમર્થકો પર ગંભીર આરોપ લગાવ્યા છે. કાલીગંજ સ્થિત તેમની પાર્ટી ઓફિસ પર ઈંડા અને રીંગણ ફેંકવામાં આવ્યા. મોઇત્રાએ પોલીસ પર મોડા પહોંચીને મૂકપ્રેક્ષક બનવાનો આક્ષેપ કર્યો. આ ઘટના કલકત્તા હાઈકોર્ટે ઈંડા ફેંકવાની ઘટનાઓમાં FIR નોંધવાના નિર્દેશ આપ્યા બાદ બની છે. ભાજપ કે પોલીસે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

TMC સાંસદ મોઈત્રા પર ઈંડા-રીંગણા ફેંકાયા, ઓફિસને પણ ટાર્ગેટ કરાઈ ! ભાજપ સમર્થકો પર કર્યો આક્ષેપ

Mahua Moitra Alleges BJP Supporters Threw Eggs : ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઇત્રાએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ (BJP) સમર્થકોએ તેમની પાર્ટી ઓફિસને નિશાન બનાવીને ઈંડા અને રીંગણ ફેંક્યા છે. આ ઘટના બાદ તેમણે પોલીસ પર પણ મોડા પહોંચવાનો અને મૂકપ્રેક્ષક બની રહેવાનો આરોપ લગાવ્યો છે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે કલકત્તા હાઈકોર્ટે ઈંડા ફેંકવા જેવી ઘટનાઓ પર કડક વલણ અપનાવતા દરેક મામલામાં FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ ભાજપ સમર્થકો પર ગંભીર આરોપો લગાવ્યા છે. મહુઆ મોઇત્રાનો દાવો છે કે, નાદિયાના કાલીગંજ સ્થિત અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસની પાર્ટી ઓફિસમાં તેમના પર ઈંડા અને રીંગણ ફેંકવામાં આવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ સમર્થકો સતત પાર્ટી ઓફિસના ત્રીજા માળને નિશાન બનાવીને ઈંડા અને રીંગણ ફેંકી રહ્યા હતા.

મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, પોલીસ ઘણી મોડી ઘટનાસ્થળે પહોંચી, પરંતુ ત્યાં હાજર હોવા છતાં, તેમણે કોઈ અસરકારક કાર્યવાહી ન કરી અને મૂકપ્રેક્ષક બની રહી. ફેસબુક લાઈવમાં તેમણે આરોપ લગાવ્યો કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવવાને બદલે પોલીસ માત્ર તમાશો જોતી રહી. જો કે, આ ઘટના પર હજી સુધી ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. બીજી તરફ, પોલીસે પણ જાહેરમાં આ મામલે કોઈ વિગતવાર નિવેદન જાહેર કર્યું નથી.

ઈંડા ફેંકવાની ઘટના પર હાઈકોર્ટ કડક

આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે તાજેતરમાં જ કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં રાજકીય વિરોધીઓ અથવા વિવિધ કેસોના આરોપીઓ પર ઈંડા ફેંકવાની વધતી જતી ઘટનાઓ અંગે કડક ટિપ્પણી કરી છે. મંગળવારે આ સંદર્ભમાં દાખલ કરાયેલી એક જનહિત અરજી (PIL) પર સુનાવણી કરતી વખતે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તપબ્રત ચક્રવર્તી અને ન્યાયમૂર્તિ પાર્થ સારથી ચેટર્જીની ખંડપીઠે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, ઈંડા ફેંકવાની દરેક ઘટનામાં પોલીસ અનિવાર્યપણે FIR નોંધે. સુનાવણી દરમિયાન અદાલતે મૌખિક ટિપ્પણી કરતા કહ્યું કે, કોઈ વ્યક્તિ પર આરોપ લાગવાનો અર્થ એ નથી કે, તેના મૌલિક અધિકારો સમાપ્ત થઈ જાય. અદાલતે એવું પણ કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં હોય અથવા રાજ્યની સુરક્ષામાં હોય, ત્યારે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ રાજ્યની જવાબદારી છે.

શુભેન્દુ સરકાર પાસે હાઈકોર્ટે માંગ્યો જવાબ

હાઈકોર્ટે રાજ્યની શુભેન્દુ સરકારને 20 જુલાઈ સુધીમાં સોગંદનામું દાખલ કરીને એ જણાવવા પણ કહ્યું છે કે, ઈંડા ફેંકવાની ઘટનાઓને રોકવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે, અને અત્યાર સુધી આવા મામલાઓમાં કેટલી FIR નોંધવામાં આવી છે. અદાલતે રાજ્ય સરકારને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. બીજી તરફ, રાજ્ય સરકાર વતી અદાલતમાં હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, સરકારનું સ્પષ્ટ વલણ છે કે, કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપી શકાય નહીં. તેમણે માહિતી આપી હતી કે, જબરદસ્તી વસૂલાત અને અન્ય કેસોના આરોપીઓ પર ઈંડા ફેંકવાના કેટલાક કિસ્સાઓમાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.