AI Image |
Delhi Air India Plane News : એર ઇન્ડિયાના વિમાનમાં ફરી એકવાર ગંભીર ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સોમવારે સવારે દિલ્હીના IGI ઍરપોર્ટ પરથી મુંબઈ માટે ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ વિમાનનું એક એન્જિન હવામાં બંધ પડી ગયું હતું, જેના પગલે વિમાનનું દિલ્હીમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સદ્નસીબે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે.
ક્યારે અને કેવી રીતે બની ઘટના?
આ ઘટના એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 887 સાથે બની હતી, જેણે આજે સવારે 6:40 વાગ્યે દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના થોડીવારમાં જ પાઇલટને વિમાનમાં ખામી હોવાનું જણાયું હતું. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે વિમાનનું જમણું એન્જિન હવામાં જ બંધ થઈ ગયું હતું. આ ગંભીર પરિસ્થિતિને પગલે, દિલ્હી ઍરપોર્ટ પર તાત્કાલિક 'ફુલ ઇમરજન્સી' જાહેર કરવામાં આવી હતી અને પ્રોટોકોલ મુજબ તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
એર ઇન્ડિયાએ શું કહ્યું?
એર ઇન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, "ફ્લાઇટ AI887માં ટેકનિકલ સમસ્યાને કારણે SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ તેને દિલ્હી પરત લાવવામાં આવી હતી. વિમાને દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું અને તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે."
અમદાવાદમાં સર્જાઈ હતી હોનારત
તાજેતરના સમયમાં એર ઇન્ડિયાના વિમાનોમાં તકનીકી ખામીની આ કોઈ પહેલી ઘટના નથી. ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે અમદાવાદમાં લંડન માટે ઉડાન ભરતાં જ એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં વિમાનમાં સવાર એક મુસાફરને બાદ કરતાં અન્ય તમામ લગભગ 250 લોકોના કરુણ મોત થયા હતા.


