Get The App

'વિમાન સુરક્ષા પર ધ્યાન આપો, ઉડાન સંચાલનમાં કડકાઈ વધારો', DGCAએ એર ઈન્ડિયાના CEOને આપ્યા કડક નિર્દેશ

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
'વિમાન સુરક્ષા પર ધ્યાન આપો, ઉડાન સંચાલનમાં કડકાઈ વધારો', DGCAએ એર ઈન્ડિયાના CEOને આપ્યા કડક નિર્દેશ 1 - image


Meeting of DGCA and Air India officials : દેશમાં આજે (17 જૂન) એક જ દિવસમાં એર ઈન્ડિયાની સાત ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જેને લઈને અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ વચ્ચે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (DGCA) એરલાઈન્સના અધિકારીઓની તાત્કાલીક બેઠક બોલાવી હતી. વાસ્તવમાં અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ રોજબરોજ ફ્લાઈટમાં ખામીના સમાચાર મળી રહ્યા છે. આજે એર ઈન્ડિયાની કુલ સાત ફ્લાઈટ ટેક્નિકલ તથા અન્ય કારણોસર ઉડાન ભરી શકી ન હતી. એર ઈન્ડિયાની દિલ્હીથી પેરિસ, લંડનથી અમૃતસર, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ અને અમદાવાદથી લંડન આવતી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા, બેંગ્લુરૂથી લંડન જતી ફ્લાઈટ પણ રદ થઈ હતી. મોટાભાગની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. રદ થયેલી ફ્લાઈટ્સમાં છ બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હતી. આ મોડલ જ અમદાવાદમાં ક્રેશ થયુ હતું.

ફ્લાઈટ રદ થતા અનેક મુસાફરો મુશ્કેલીમાં

• DGCAના ડિરેક્ટર જનરલે એર ઈન્ડિયાના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી. DGCAના ડિરેક્ટર જનરલ ફૈઝ અહેમદ કિદવઈએ આજે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરી હતી.

• DGCAએ એર ઈન્ડિયાને ખાસ કરીને વિમાન સુરક્ષા અને મેઇન્ટેનન્સ પર સરખું ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. કોઈપણ ટેકનિકલ ખામીને નજરઅંદાજ ન કરી શકાય અને દરેક વિમાનને ઉડાન પહેલા કડક સુરક્ષા માપદંડો પર ખરું ઉતરવું જોઈએ.

• ઉડાનોના સંચાલનમાં કડકાઈ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સમય પર ઉડાનોના સંચાલન એરલાઈનની સાખ અને મુસાફરોના ભરોસા માટે અનિવાર્ય છે. મોડી ઉડાનો અને કેન્સિલેશનની સ્થિતિમાં મુસાફરોને થઈ રહેલી અસુવિધાઓને ગંભીરતાથી લેવાઈ છે. એવી સ્થિતિમાં મુસાફરોને સ્પષ્ટ માહિતી અને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવે.

• DGCAએ એર ઈન્ડિયાથી ક્રાઇસિસ કોમ્યુનિકેશન (કટોકટી સંચાર) પ્રણાલીને વધુ પ્રભાવી બનાવવાની વાત કહી છે. એટલે કે કોઈપણ ઇમરજન્સી અથવા વિલંબ થવાની સ્થિતિમાં મુસાફરોને તાત્કાલિક માહિતી અને સહયોગ આપવો ફરજિયાત કરવામાં આવે.

વિશેષ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર મંથન થયું?

આ વિશેષ બેઠકમાં એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ અધિકારીઓને બોલવવામાં આવ્યા હતા. DGCAએ સ્પષ્ટ કર્યું કે, AI 171 ફ્લાઈટ દુર્ઘટના બાદ મુસાફરોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. એ નક્કી કરવામાં આવે કે કોઈપણ ઉડાનો પહેલા તમામ ટેક્નિકલ પરીક્ષણ સમયસર અને પ્રમાણિક રીતે કરવામાં આવે.

DGCA તરફથી કહેવામાં આવ્યું છે કે, ફ્લાઈટ મોડી પડે અથવા ટેક્નિકલ ખામી જેવી સ્થિતિમાં મુસાફરોને એલાઇન તરફથી મળતી માહિતી, સુવિધાઓ અને સેવા માપદંડોને સુધારવા જોઈએ.

આ સાત ફ્લાઇટ્સ કેન્સલ થઈ

  • AI915 - દિલ્હીથી દુબઈ - B788 ડ્રીમલાઇનર
  • AI153 - દિલ્હીથી વિયેના - B788 ડ્રીમલાઇનર
  • AI143 - દિલ્હીથી પેરિસ - B788 ડ્રીમલાઇનર
  • AI159 - અમદાવાદથી લંડન - B788 ડ્રીમલાઇનર
  • AI170 - લંડનથી અમૃતસર - B788 ડ્રીમલાઇનર
  • AI133 - બેંગલુરુથી લંડન - B788 ડ્રીમલાઇનર
  • AI179 - મુંબઈથી સાન ફ્રાન્સિસ્કો - B777 ડ્રીમલાઇનર

આ પણ વાંચો : એક જ દિવસમાં એર ઈન્ડિયાની સાત ફ્લાઈટ કેન્સલ, જાણો કયા કારણે ના ભરી શકી ઉડાન

ફ્લાઈટો રદ થવાનું કારણ ડીજીસીએનો આદેશ

ફ્લાઈટો કેન્સલ થયા બાદ એરપોર્ટ પર ભારે હંગામો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓએ આક્ષેપ કર્યો છે કે, અમને ફ્લાઈટ કેન્સલ થવાની કોઈ સૂચના અપાઈ નથી. બીજીતરફ ડીજીસીએએ 13 જૂને આપેલા આદેશના કારણે ફ્લાઈટો કેન્સલ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. ડીજીસીએનો આ આદેશ એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર ફ્લીટ પર લાગુ છે. જોકે એરલાઈન્સ તરફથી આ અંગે કોઈપણ નિવેદન જાહેર કરાયું નથી અને ફ્લાઈટ કેન્સલ કરવાનું કારણ પણ જાહેર કર્યું નથી. જોકે એરલાઈન્સે કહ્યું છે કે, ‘અમારા મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને તેમને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને ટિકિટ રદ કરવા પર અથવા મફત વળતર પર ટિકિટની રકમનું સંપૂર્ણ રિફંડ પણ આપી રહ્યા છીએ.’

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ

ડીજીસીએએ શું આપ્યો હતો આદેશ?

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ DGCAએ 13 જૂને નવા આદેશ જાહેર કરી બોઈંગના તમામ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક બનાવી દીધી છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-એઆઈ-171 ટેકઓફ થતાની સાથે જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયા બાદ ડીજીસીએએ આ નિર્દેશ જાહેર કર્યો હતો. ડીજીસીએએ એર ઈન્ડિયાને આદેશ આપેલો છે કે, એરલાઈન્સ તેની તમામ ફાઈટોનું ઉડ્ડન કરે તે પહેલા તેની વિશેષ તપાસ પ્રક્રિયા 15 જૂન-2025થી ફરજિયાત લાગુ કરે. ડીજીસીએએ ઉડ્ડયન પહેલા અનેક મહત્ત્વની ટેકનીકલ તપાસ જેમ કે ફ્યૂલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જીન ફ્યુઅલ એક્યુએટર ઓપરેશન, ઑઈલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમ સહિતની સિસ્ટમ પર વિશેષ તપાસ કરવાનો નિર્દેશ પણ આપેલો છે.

Tags :