અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ
Ahmedabad Plane Crash : અમદાવાદમાં ગઈકાલે (12 જૂને) એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ ભારતીય નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ આજે નવા આદેશ જાહેર કરી, બોઈંગના તમામ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક બનાવી દીધી છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-એઆઈ-171 ટેકઓફ થતાની સાથે જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયા બાદ ડીજીસીએએ આ નિર્દેશ જાહેર કર્યો છે.
એરલાઈન્સ ફ્લાઈટના સંચાલન પહેલા તેની વિશેષ તપાસ કરે
ડીજીસીએએ એર ઈન્ડિયાને આદેશ આપ્યો છે કે, એરલાઈન્સ તેની તમામ ફાઈટોનું ઉડ્ડન કરે તે પહેલા તેની વિશેષ તપાસ પ્રક્રિયા 15 જૂન-2025થી ફરજિયાત લાગુ કરે. ડીજીસીએએ ઉડ્ડયન પહેલા અનેક મહત્ત્વની ટેકનીકલ તપાસ જેમ કે ફ્યૂલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જીન ફ્યુઅલ એક્યુએટર ઓપરેશન, ઑઈલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમ સહિતની સિસ્ટમ પર વિશેષ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટી સફળતા, DGCAને હાથ લાગ્યું બ્લેક બોક્સ, રહસ્યો ખુલશે
છેલ્લા 15 દિવસમાં વિમાનોમાં સર્જાયેલી ટેકનીકલ ખામી દૂર કરવાનો પણ આદેશ
આદેશ એમ પણ કહેવાયું છે કે, એર ઈન્ડિયા તેના તમામ પ્લેનોમાં ‘ફ્લાઈટ કંટ્રોલ ઈન્સ્પેક્શન’ નિરીક્ષણ કરતું રહે તેમજ આ પ્રક્રિયા આગામી આદેશ સુધી ચાલુ રાખે. ડીજીસીએએ એરલાઈન્સને બે સપ્તાહની અંદર પાવર એશ્યોરન્સ ફરજીયાત ચેક કરવા પણ કહ્યું છે. આ ઉપરાંત છેલ્લા 15 દિવસમાં બોઈંગ ડ્રીમલાઈનર વિમાનોમાં જેટલીવાર ટેકનિકલ ખામીઓ સર્જાઈ છે, તેની સમીક્ષા કરવાનો તેમજ તેને સંબંધીત તમામ મેન્ટેન્સ કામગીરી વહેલી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે.
વિમાન ક્રેશ થયા બાદ ડીજીસીએની કડક કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (12 જૂને) અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયા બાદ તુરંત મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાનમાં કુલ 242 મુસાફરો હતા, જેમાંથી 241 લોકોના મોત થયા છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ ઘટના બાદ ડીજીસીએએ એર ઈન્ડિયાની સુરક્ષાને વધુ કડક બનાવવા માટે આ આદેશ આપ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય તેમજ પ્રવાસીઓના જીવ પર જોખમ ન રહે, તેને ધ્યાને રાખી ડીજીસીએએ કડક પગલા ભરવાના શરૂ કરી દીધા છે.