એક જ દિવસમાં એર ઇન્ડિયાની સાત ફ્લાઇટ કેન્સલ, જાણો કયા કારણે ના ભરી શકી ઉડાન
Air India Flight Cancel Due To Issues: અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ રોજબરોજ ફ્લાઇટમાં ખામીના સમાચાર મળી રહ્યા છે. આજે એર ઇન્ડિયાની કુલ સાત ફ્લાઇટ ટેક્નિકલ તથા અન્ય કારણોસર ઉડાન ભરી શકી ન હતી. એર ઇન્ડિયાની દિલ્હીથી પેરિસ, લંડનથી અમૃતસર, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ અને અમદાવાદથી લંડન આવતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા, બેંગ્લુરુથી લંડન જતી ફ્લાઇટ પણ રદ થઈ હતી. મોટાભાગની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. રદ થયેલી ફ્લાઇટ્સમાં છ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતી. આ મોડલ જ અમદાવાદમાં ક્રેશ થયું હતું.
અમદાવાદ-લંડન ફ્લાઇટ રદ
એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન AI-159 બપોરે 1.10 વાગ્યે અમદાવાદથી રવાના થયું હતું. લંડન પહોંચવાનો સમય સાંજે 6.25 વાગ્યાનો હતો. જો કે, ફ્લાઇટ ટેક ઑફ થાય તે પહેલાં જ તેમાં ટેક્નિકલ ખામી જોવા મળતાં ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ સિવાય મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટ AI 2493 પણ ટેક્નિકલ ખામીના કારણે રદ કરવી પડી હતી. વધુમાં સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટના એક એન્જિનમાં ટેક્નિકલ ખરાબી નોંધાતા મંગળવારે (17 જૂન) કોલકાતાના ઍરપોર્ટ પર વિમાનના સ્ટોપઓવર દરમિયાન મુસાફરોને ઉતારવા પડ્યા હતા. ફ્લાઇટ AI 180 સમયસર 00:45 વાગ્યે ઍરપોર્ટ પર પહોંચી, પરંતુ ડાબા એન્જિનમાં ટેક્નિકલ ખરાબીના કારણે ઉડાનમાં મોડું થયું હતું.
આ પણ વાંચોઃ ઇન્ડિગો વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
દિલ્હીથી પેરિસ જતી ફ્લાઇટ કેન્સલ
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 17 જૂનના રોજ દિલ્હીથી પેરિસ જઈ રહેલી ફ્લાઇટ AI143 પણ ટેક્નિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હતી. ટેક ઑફ પહેલાં અનિવાર્ય તપાસમાં એક સમસ્યા મળી આવી હતી. જેથી ફ્લાઇટે ઉડાન જ ભરી ન હતી. હાલ તેને ઠીક કરવાની કામગીરી ચાલી રહી છે. પેરિસ ચાર્લ્સ ડી ગૉલ ઍરપોર્ટ પર રાત્રિના સંચાલન પર પ્રતિબંધ હોવાથી આ ફ્લાઇટને રદ કરવામાં આવી છે. મુસાફરોને હાલાકી ન નડે તે માટે તેમના રોકાણની વ્યવસ્થા થઈ રહી છે.
લંડનથી અમૃતસર આવતી ફ્લાઇટ પણ રદ
એર ઇન્ડિયાની લંડન ગેટવિકથી અમૃતસર આવતી ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે. આ રદ કરવા પાછળનું કારણ એરસ્પેસ પ્રતિબંધો અને સાવચેતીના ભાગરૂપે આકરી ચકાસણીના કારણે એરક્રાફ્ટ ઉપસ્થિત ન હોવાનું જણાવ્યું છે. જેથી લંડનથી અમૃતસર આવતી AI170 ફ્લાઇટ રદ કરવામાં આવી છે.