આતંકી હુમલા બાદ પણ કાશ્મીરી વિદ્યાર્થીઓને CRPF દ્વારા કોલકાતાની સફર કરાવાઈ
Updated: Feb 22nd, 2019
કોલકાતા,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામા હુમલા બાદ પણ સીઆરપીએફના માનવતાવાદી વલણમાં સ્હેજ પણ ફરક પડ્યો નથી.
કાશ્મીરના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેના અભિયાનના ભાગરુપે સીઆરપીએફ દ્વારા હુમલાના ચાર જ દિવસ પછી કાશ્મીરના 15 વિદ્યાર્થીઓને ભારત દર્શન કરાવવાના ભાગરુપે કોલકાતાની ટુર કરાવી હતી.
આ તમામ વિદ્યાર્થીઓ 17 થી 19 વર્ષના હતા.સીઆરપીએફ દ્વારા ઉલ્ટાનુ આ તમામ વિદ્યાર્થીઓના માતા પિતાનો આભાર માનવામાં આવ્યો છે જેમણે આ ટુર પર પોતાના સંતાનોને મોકલવા માટે સંમતિ આપી હતી.સીઆરપીએફના અધિકારીએ કહ્યુ હતુ કે દેશના કેટલાક હિસ્સામાં પુલવામા હુમલા બાદ તનાવ હોવા છતા આ માતા પિતાએ પોતાના બાળકોને અમારી સાથે આવવા દેવા માટે અમે તેમના આભારી છે.
કાશ્મીરના વિદ્યાર્થીઓ સીઆરપીએફ સાથે 18 ફેબ્રુઆરીએ કોલકાતા ગયા હતા.22 ફેબ્રુઆરીએ તેઓ કાશ્મીર પાછા ફર્યા હતા.
સીઆરપીએફના આઈજીપી રવિન્દ્રને કહ્યુ હતુ કે કાશ્મીરીઓને અમે એવુ બતાવવા માંગીએ છે કે અમે કાશ્મીરના યુવાઓની વિરુધ્ધમાં નથી.અમે એ લોકોના વિરોધમાં છે જે પોતાના રસ્તાથી ભટકી રહ્યા છે.અમે તેમને કટ્ટરવાદી બનવાથી રોકી રહ્યા છે.
સીઆરપીએફે કોલકાતામાં પણ વિદ્યાર્થીઓને પોતાના જ કેમ્પસમાં રાખ્યા હતા.આ પહેલા આવા પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને હોટલમાં રખાતા હતા.
કાશ્મીરી વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે પહેલા તો અમે ગભરાયેલા હતા પણ કોલકાતા પહોંચ્યા બાદ અમને ઘણી જગ્યાઓની મુલાકાત લેવાનો મોકો મળ્યો હતો.ફરી તક મળી તો અમે અમારા માતા પિતા સાથે ફરી કોલકાતા આવીશું.