91 વર્ષે પણ સન્યાસ લેવાના મૂડમાં નથી અડવાણી, ગાંધીનગરથી ફરી ચૂંટણી લડશે
Updated: Feb 15th, 2019
નવી દિલ્હી,તા.15.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી એક વખત પોતાના સૌથી સિનિયર બે નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મેદાનમાં ઉતરાશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે અડવાણી અને જોશીને ચૂંટણી લડાવવા માટે લીલી ઝંડી અપાઈ છે પણ સત્તાવાર જાહેરાત પાર્ટીની ઈલેક્શન કમિટીની બેઠકમાં કરાશે.આ બેઠક માર્ચના પહેલા વીકમાં કે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ મળી શકે છે.
અડવાણી હાલમાં 91 વર્ષના છે.એક ટીવી ચેનલના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ગાંધીનગર બેઠક પરથી સાંસદ અડવાણી ફરી આ જ બેઠક પર ચૂંટણી લડવાના મૂડમાં છે.તેમની પુત્રી પ્રતિભા અડવાણીને આ બેઠક પરથી લડાવવા માટે વાત ચાલી રહી હતી પણ પરિવારવાદનો વિરોધ કરતા અડવાણીએ પાર્ટીના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે અને પોતે જ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
હાલમાં અડવાણી લોકસભાના સૌથી વૃધ્ધ સાંસદ છે અને 1991થી ગાંધીનગરનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
ભાજપ 84 વર્ષના મુરલી મનોહર જોશી, 85 વર્ષના શાંતાકુમાર, 77 વર્ષના કલરાજ મિશ્ર અને 77 વર્ષના ભગતસિંહ કોશ્યારીને પણ ટિકિટ આપી શકે છે.