'સરકાર કાં જીવવા દે કે પછી મારી જ નાખે...', રાંચીનું જયપાલ સિંહ સ્ટેડિયમ બન્યું 'જંતર મંતર'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

JPSC exam scam: ઝારખંડની રાજધાની રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓનું આંદોલન દિન-પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યું છે. દિલ્હીના જંતર મંતરની જેમ જ આખું સ્ટેડિયમ આંદોલનકારી વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકોથી ભરાઈ ગયું છે. ઝારખંડ લોક સેવા આયોગ (JPSC)ની સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષામાં થયેલી કથિત ગડબડ અને ધાંધલી સામે 25 જુલાઈથી શરૂ થયેલું આ આંદોલન 10 દિવસ બાદ પણ પૂરા જોશમાં જોવા મળી રહ્યું છે. જોકે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ હવે બે જૂથમાં વહેંચાઈ ગયા છે, પરંતુ બંને પોતાની માગો પર અડગ છે. 14મી JPSC PT પરીક્ષામાં મોટા પાયે ગડબડ થઈ હોવાનો આરોપ લગાવતા વિદ્યાર્થીઓએ ગુસ્સામાં કહ્યું છે કે 'સરકાર કાં જીવવા દે કે પછી મારી જ નાખે.'
શું છે વિદ્યાર્થીઓની મુખ્ય માગો?
આંદોલનકારી વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા છે કે ઝારખંડમાં સ્પર્ધાત્મક પરીક્ષા યોજતી એજન્સી TDPL દ્વારા લેવાયેલી 14મી JPSC પરીક્ષાને તુરંત રદ કરવામાં આવે અને પારદર્શક રીતે નવી પરીક્ષા યોજવામાં આવે. આ સાથે જ સમગ્ર કૌભાંડની CBI તપાસ કરાવવામાં આવે અને ભવિષ્યમાં નિષ્પક્ષ તેમજ સમયબદ્ધ ભરતી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે નિયમિત વાર્ષિક પરીક્ષા કેલેન્ડર બહાર પાડવામાં આવે.
દેવેન્દ્ર મહતો અને બ્રહ્માનંદનું આમરણ અનશન
આંદોલનના એક જૂથનું નેતૃત્વ JLKM (ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિ મોરચા)ના દેવેન્દ્ર મહતો કરી રહ્યા છે, જેઓ રાજ્યમાં વિદ્યાર્થી આંદોલનનો મુખ્ય ચહેરો બન્યા છે. અગાઉ સિલ્લી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા મહતો ભૂખ હડતાળ પર બેઠા છે અને તેમના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. બીજી તરફ, રામગઢના રહેવાસી અને બોટનીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ બ્રહ્માનંદ પણ જયપાલ સિંહના સ્ટેચ્યુ નીચે, વરસાદ વચ્ચે ભૂખ હડતાળ પર બેઠા છે. તેમનો આરોપ છે કે વિદ્યાર્થીઓના હક અને અધિકારો પર અન્યાય છે.
CID તપાસમાં ચોંકાવનારા ખુલાસા
બનાવ અંગેની તપાસ કરી રહેલી CIDની પૂછપરછ દરમિયાન JPSCના કેટલાક કર્મચારીઓ અને પરીક્ષા યોજતી એજન્સી TDPL સાથે સંકળાયેલા લોકો પાસેથી વિદ્યાર્થીઓની OMR શીટ અને એડમિટ કાર્ડ મળી આવ્યા છે. આ કેસમાં કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવી છે અને પૂર્વ JPSC અધ્યક્ષ એલ. ખ્યાંગતેનો પાસપોર્ટ જપ્ત કરીને તેમની વિદેશ યાત્રાઓ તથા TDPL સાથેના સંબંધો અંગે પૂછપરછ ચાલુ છે.
સ્ટેડિયમમાં શિસ્તબદ્ધ અને નૈતિક સમર્થનનું વાતાવરણ
આટલા મોટા આંદોલન છતાં જયપાલ સિંહ સ્ટેડિયમમાં સંપૂર્ણ શિસ્ત જળવાઈ રહી છે. પ્રદર્શનકારીઓ તરફથી કોઈ વાંધાજનક નારેબાજી કરવામાં આવતી નથી. સાંજના સમયે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નૈતિક સમર્થન અને ફૂડ સપોર્ટ આપવા પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે 'અમને યોજનાઓ કરતાં વધુ રોજગારીની જરૂર છે અને અમારી પ્રાથમિકતા નોકરી છે.'









