મુફ્તી મહોમ્મદ સઈદની સરકારના નિર્ણયની કિંમત ચુકવી 40 જવાનોએ
Updated: Feb 16th, 2019
શ્રીનગર,તા.16.ફેબ્રુઆરી 2019 શનિવાર
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોએ જીવ ગુમાવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ પણ હુમલાને અંજામ કેવી રીતે અપાયો તેની તપાસમાં લાગી ગઈ છે.
જોકે આ દરમિયાનમાં એક વાત સ્પષ્ટ થઈ છે કે 2003માં તત્કાલિન મુખ્યમંત્રી મુફ્તી મહોમ્મદ સઈદની સરકારે લીધેલો નિર્ણય સીઆરપીએફને ભારે પડ્યો છે.2002 સુધી જ્યારે પણ ભારતીય સુરક્ષાદળનો કાફલો જમ્મુ કાશ્મીરમાં રસ્તા પરથી પસાર થાય ત્યારે સુરક્ષા કારણસર રસ્તા ખાલી કરાવી દેવાતા હતા.રસ્તાની બંને તરફ સુરક્ષા પણ વધારાતી હતી.જેથી કોઈ વાહન કાફલામાં ઘુસે નહી.
જોકે 2003માં મુફ્તીની સરકારે આ નિયમને એવુ કારણ આપીને હટાવી દીધો હતો કે તેનાથી નાગરિકોને તકલીફ ભોગવવી પડે છે.સુરક્ષાદળો પણ દેશના આમ નાગરિકમાં જ આવે છે.તેમના કાફલાને અલગ સુવિધા આપવાની જરુર નથી.
નિર્ણય અમલમાં મુકાયા બાદ સુરક્ષાદળોનો કાફલો પસાર થતો હોય ત્યારે રસ્તા પર સિવિલિયન નાગરિકોની અવર જવર પણ થતી હતી.જેના કારણે આત્મઘાતી હુમલાખોરને પોતાની કાર કાફલા વચ્ચે ઘુસાડીને બ્લાસ્ટ કરવાની તક મળી ગઈ હતી. હુમલા બાદ જ્યારે રાજનાથસિંહ કાશ્મીરની મુલાકાતે ગયા ત્યારે એક જવાને જુનો નિયમ ફરી લાગુ કરવાની પણ માંગ કરી હતી.