આતંકી હુમલાને અંજામ આપવા જૈશના 21 આતંકવાદીઓ ડિસેમ્બરથી કાશ્મીરમાં ઘૂસ્યા હતા
Updated: Feb 19th, 2019
નવી દિલ્હી, તા. 19. ફેબ્રુઆરી 2019 મંગળવાર
પાકિસ્તાની આતકંવાદી સંગઠન જૈશ એ મહોમ્મદે પુલવામા હુમલાને અંજામ આપવા માટે ડિસેમ્બર મહિનામાં જ 21 આતંકવાદીઓને કાશ્મીરમાં ઘૂસાડ્યા હતા.
ગુપ્તચર સૂત્રોનો દાવો છે કે આ આતંકવાદીઓમાં 3 આત્મઘાતી હુમલાખોરો પણ સામેલ હતા.જેમના થકી કાશ્મીરમાં એક અને કાશ્મીરની બહાર દેશના બીજા બે સ્થળોએ આત્મઘાતી હુમલા કરાવવાની યોજના હતા.એન્કાઉન્ટરમાં સેનાના હાથે યમસદન પહોંચેલા કામરાન ઉર્ફે ગાઝીએ આ આતંકવાદીઓની આગેવાની લીધી હતી.થોડા મહિના પહેલા અઝહર મસૂદના ભત્રીજા ઉસ્માન હૈદરને સુરક્ષાદળોએ મોતને ઘાટ ઉતાર્યો હતો.જેનો બદલો લેવા આતંકવાદીઓ કાશ્મીરમાં ઘુસ્યા હતા.
કાશ્મીરમાં સુરક્ષાદળોની નજર ચુકવી દાખલ થયા બાદ 21 આતંકવાદીઓ બે જૂથમાં વહેંચાઈ ગયા હતા.એક ગ્રૂપની આગેવાની મુદ્સિર ખાન અને બીજા ગ્રુપની આગેવાની શહીદ બાબાએ લીધી હતી.1 ફેબ્રુઆરીએ પુલવામા એન્કાઉન્ટરમાં શહીદ બાબા માર્યો ગયો હતો.જ્યારે ત્રણ આત્મઘાતી હુમલાખોરો પૈકી આદિલ દારને પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા હુમલા માટે જવાબદારી સોંપાઈ હતી.બાકીના બે આત્મઘાતી હુમલાખોરો થકી બીજા બે સ્થળોએ આ જ રીતે બ્લાસ્ટ કરાવવાની યોજના હતી.
સૂત્રોનુ કહેવુ છે કે જૈશ અને લશ્કરે તોયબા જેવા આતંકવાદી સંગઠનો દ્વારા આત્મઘાતી મિશન માટે ચીઠ્ઠી ઉછાળીને નામની પસંદગી કરવામાં આવતી હોય છે.જૈશના આ બે ગ્રુપે 16 ગાડીઓ ખરીદી હતી.આ તમામ વાહનોનુ રજિસ્ટ્રેશન 1990થી 95ની વચ્ચે થયુ હતુ.જૂના વાહનો ખરીદવા પર ભાર એટલે મુકાયો હતો કે આસાનીથી તેની ઓળખ થઈ ના શકે.