Get The App

1971નો કાળો દિવસ: જ્યારે પાકિસ્તાની સબમરીનના ટોર્પિડો હુમલામાં ભારતની INS ખુકરીએ જળસમાધિ લીધી

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
INS Khukri  1971 War

Story of Captain Mahendra Nath Mulla’s bravery and 194 martyrs | તાજેતરમાં અમેરિકાની સબમરીને ટોર્પિડો છોડીને ઈરાનના યુદ્ધ જહાજ આઈરિસ ડેનાને હિંદ મહાસાગરમાં ડૂબાડી દીધું. આ ઘટનાને લીધે દુનિયાનું ધ્યાન નૌકાદળ યુદ્ધ તરફ ફરીથી કેન્દ્રિત થયું છે કારણ કે, બીજા વિશ્વયુદ્ધ પછી ફક્ત ચાર યુદ્ધ જહાજો ટોર્પિડોનો શિકાર બન્યા છે. તેમાંથી એક ભારતનું આઈએનએસ ખુકરી પણ હતું, જે ભારતે યુદ્ધમાં ગુમાવેલું પહેલું અને એકમાત્ર યુદ્ધ જહાજ હતું. આઈએનએસન ખુકરીની શહાદતનો 9 ડિસેમ્બર 1971નો એ દિવસ ભારતીય નૌકાદળના ઇતિહાસમાં ખૂબ દુખદ અને શૌર્યસભર ગણાય છે. 

ચાલો જાણીએ ઈતિહાસનું એ પ્રકરણ અને એના કેપ્ટન મહેન્દ્ર નાથ મુલ્લાના બલિદાનની ગૌરવવંતી ગાથા. 

પશ્ચિમ મોરચે નૌકાદળની મોટી કામગીરી

1971ના યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળે પૂર્વ અને પશ્ચિમ બંને મોરચે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પૂર્વ મોરચે બાંગ્લાદેશની મુક્તિ માટે લડતી મુક્તિવાહિનીને મદદ આપી, તો પશ્ચિમ મોરચે પાકિસ્તાનના કરાચી બંદરને મુખ્ય નિશાન બનાવાયું કારણ કે, તે પાકિસ્તાનના નૌકાદળનું મુખ્ય મથક અને વેપારનું મોટું કેન્દ્ર હતું.

ભારતીય નૌકાદળે પાકિસ્તાનને અભૂતપૂર્વ નુકસાન પહોંચાડ્યું

4-5 ડિસેમ્બર 1971ની રાત્રે ભારતીય નૌકાદળે ઓપરેશન ટ્રાઈડેન્ટ શરૂ કર્યું. આ હુમલામાં પાકિસ્તાનનું યુદ્ધ જહાજ પીએનએસ ખૈબર સહિત અનેક જહાજો ડૂબી ગયા અને કરાચીના ઓઈલ સંગ્રહ સ્થળોને ભારે નુકસાન થયું. એ પછી 8-9 ડિસેમ્બરે ઓપરેશન પાયથોન ચલાવાયું, જેમાં ભારતીય જહાજોએ ફરી કરાચી બંદર પર હુમલો કરીને પાકિસ્તાનના ઓઈલ ભંડારોને વધુ નુકસાન પહોંચાડ્યું.

PNS હંગોરમાં ફ્રાંસમાં બનેલી સબમરીન હતી  

આ હુમલા બાદ પાકિસ્તાની સબમરીન પીએનએસ હંગોર અરબી સમુદ્રમાં ગુપ્ત રીતે પેટ્રોલિંગ કરી રહી હતી. ફ્રાન્સમાં બનેલી એ આધુનિક ડાફ્ને-ક્લાસ સબમરીનમાં અદ્યતન સોનાર અને 12 ટોર્પિડો ટ્યુબ હતાં. બીજી તરફ આઈએનએસ ખુકરી બ્રિટનમાં બનેલું ટાઇપ-14 ફ્રિગેટ હતું. તેને ખાસ સબમરીન સામે લડવા માટે ડિઝાઈન કરાયું હતું, પરંતુ તેની ડિઝાઇન 1950ના દાયકાની હોવાથી તુલનામાં તે જૂનું જહાજ ગણાતું હતું.

18 અધિકારી સહિત 194 નૌસેનિકો શહીદ 

ગુપ્તચર માહિતી મળ્યા બાદ આઈએનએસ ખુકરી અને આઈએનએસ કિરપાણને એક કામ સોંપાયું, પીએનએસ હંગોરને શોધવાનું. તે સમયે ખુકરી તેની સોનાર સિસ્ટમનું પરીક્ષણ કરી રહ્યું હતું, તેથી તેની ઝડપ માત્ર 12 નોટ હતી. 9 ડિસેમ્બર 1971ની સાંજે હંગોરે આઈએનએસ કિરપાણ તરફ પ્રથમ ટોર્પિડો છોડ્યો, પરંતુ તે નિશાન ચૂકી ગયો. ત્યારબાદ હંગોરે લક્ષ્ય બદલીને આઈએનએસ ખુકરી પર ટોર્પિડો છોડ્યો, જે જહાજની ઓઈલ ટેન્કર નીચે વાગ્યો. ભારે વિસ્ફોટ થયો અને માત્ર બે મિનિટમાં આઈએનએસ ખુકરી દરિયામાં ડૂબી ગયું. બીજા વિશ્વયુદ્ધ પછી સબમરીન દ્વારા કોઈ યુદ્ધ જહાજને ડૂબાડવાની આ પહેલી ઘટના હતી. આ દુર્ઘટનામાં 18 અધિકારીઓ સહિત કુલ 194 નૌસૈનિકો શહીદ થયા. ભારતીય નૌકાદળે યુદ્ધ દરમિયાન ગુમાવેલું આ એકમાત્ર જહાજ હતું.

કેપ્ટન મહેન્દ્ર નાથ મુલ્લાનું અદભૂત શૌર્ય

આઈએનએસ ખુકરીના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન મહેન્દ્ર નાથ મુલ્લા હતા. તેમનો જન્મ 15 મે 1926 ના રોજ ગોરખપુર, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 1948માં તેઓ ભારતીય નૌકાદળમાં જોડાયા હતા. જ્યારે જહાજ પર ટોર્પિડો હુમલો થયો ત્યારે તેમણે શાંતિથી જહાજ ખાલી કરવાનો આદેશ આપ્યો. તેમણે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યા વિના અન્ય ખલાસીઓને લાઇફ જેકેટ પહેરવામાં અને લાઇફબોટ પર સવાર થવામાં મદદ કરી. કહેવાય છે કે તેમણે પોતાનું લાઇફ જેકેટ પણ એક ખલાસીને આપી દીધું. બચી ગયેલા નૌસૈનિકોએ પછીથી જણાવ્યું કે જહાજ ડૂબતું હતું ત્યારે કેપ્ટન મુલ્લા શાંતિથી ઊભા હતા, તેમણે અંત સુધી જહાજ છોડ્યું નહોતું. તેમની આ બહાદુરી બદલ તેમને મરણોત્તર મહાવીર ચક્રથી સન્માનિત કરાયા. 

બચાવ કામગીરી અંગે વિવાદ

આઈએનએસ ખુકરી ડૂબ્યા પછી આઈએનએસ કિરપાણે થોડો સમય પીએનએસ હંગોર પર ડેપ્થ ચાર્જથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. ત્યારબાદ હંગોરે કિરપાણ પર પણ ટોર્પિડો છોડ્યો, પરંતુ કિરપાણ તેમાંથી બચી ગયું. આ દુર્ઘટનામાંથી 67 નૌસૈનિકોને બચાવી લેવાયા. બચી ગયેલા નૌસૈનિકો પૈકીના કેટલાકે ઘટનાની તપાસ અંગે પ્રશ્નો ઉઠાવ્યા કે ‘આઈએનએસ કિરપાણ ત્યાંથી ઝડપથી દૂર કેમ થઈ ગયું?’ અને ‘બચાવ કામગીરી મોડેથી કેમ શરૂ થઈ?’ તેમના મત મુજબ, જો જહાજ થોડો વધુ સમય ત્યાં રોકાયું હોત તો કદાચ વધુ લોકોને ડૂબતાં બચાવી શકાયા હોત. જો કે, અન્ય નૌસૈનિકો અને નિષ્ણાતોનું કહેવું હતું કે દરિયામાં પાકિસ્તાની સબમરીન હાજર હોવાથી ત્યાં રોકાવું ખૂબ જોખમી હતું, તેથી કિરપાણનું દૂર થવું વ્યૂહાત્મક રીતે યોગ્ય નિર્ણય હતું. 

શહીદોની યાદમાં સ્મારક પણ બનાવાયું 

આઈએનએસ ખુકરીના શહીદ નૌસૈનિકોની યાદમાં દીવના દરિયાકાંઠે એક સ્મારક બનાવાયું છે. અહીં આઈએનએસ ખુકરીનું મોડેલ પણ છે. મુંબઈના નેવી નગરમાં આવેલા એક ઓડિટોરિયમને પણ કેપ્ટન મુલ્લાનું નામ અપાયું છે. 2000માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. ભારતીય નૌકાદળ માટે આઈએનએસ ખુકરીનું બલિદાન શૌર્ય, ફરજ અને દેશપ્રેમનું પ્રતિક બની ગયું છે. કેપ્ટન મુલ્લા અને તેમના સાથીઓનું બલિદાન ભારતીય નૌકાદળના ઇતિહાસમાં હંમેશાં યાદ રહેશે.