Mumbai

અંધેરીચા રાજા આ વર્ષે અયોધ્યાના 'રામ મંદિર'માં બિરાજમાન થશે

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈના અંધેરીમાં આઝાદ નગર ખાતે અંધેરીચા રાજાના 61મા ગણેશોત્સવ નિમિત્તે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ બનાવાઈ છે. 14,000 ચો.ફૂ.ના પ્લેટફોર્મ પર લાકડા અને 4 ટન સ્ટીલથી બનેલા આ પંડાલમાં 46 સુશોભિત સ્તંભ, શિખર અને કળશ છે. દર્શનાર્થીઓ માટે 23.5 કરોડનું વિમા કવચ પણ લેવાયું છે. 29 સપ્ટેમ્બરે પ્રતિમાનું વિસર્જન થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અંધેરીચા રાજા આ વર્ષે અયોધ્યાના 'રામ મંદિર'માં બિરાજમાન થશે

૧૪૦૦૦ ચો.ફૂ.ના પ્લેટફોર્મ પર ૩ મહિનામાં ડેકોરેશન કરાયું

મંદિરમાં ૪૬ સુશોભિત સ્તંભ, શિખર કળશ વગેરેની ભવ્ય રચના,

પંડાલ, દર્શનાર્થીઓ અને સ્વયંસેવકો માટે ૨૩.૫ કરોડનું વિમા કવચ

મુંબઈ -  અંધેરીચા રાજાના ૬૧મા વર્ષના ગણેશોત્સવ નિમિત્તે અંધેરીના આઝાદ નગર ખાતે આ વર્ષે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિને ગણેશ પંડાલનું મુખ્ય આકર્ષણ બનાવવામાં આવશે. આ પંડાલ ૧૪,૦૦૦ ચોરસ ફૂટના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં લાકડું તથા ચાર ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. પંડાલમાં નાગર શૈલીની સ્થાપત્ય રચનાને પુનઃસર્જિત કરવામાં આવી છે, જેમાં ૪૬ સુશોભિત સ્તંભ, ભવ્ય પ્રવેશદ્વાર, ૨૦ બાજુના કમાન, વિષ્ણુની થીમ આધારિત કમાન, જાળીદાર પેનલ અને પરંપરાગત શિખરો સાથે કળશનો સમાવેશ થાય છે. આયોજનને વધુ ટકાઉ બનાવવા માટે રિસાયકલ કરી શકાય તેવી સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ વર્ષે પંડાલ, મુલાકાતીઓ અને સ્વયંસેવકો માટે કુલ રૃ. ૨૩.૫ કરોડનું વિમા કવચ લેવામાં આવ્યું છે. અંધેરીચા રાજાની સ્થાપના ૧૯૬૬માં તમાકુ ફેક્ટરીના કામદારો દ્વારા કરવામાં આવી હતી. અન્ય અનેક ગણેશ મંડળોથી અલગ, અહીં ગણેશપ્રતિમાનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવતું નથી. આ વર્ષે ૨૯ સપ્ટેમ્બરે અંગારકી સંકષ્ટીને દિવસે પ્રતિમા પંડાલમાંથી નીકળશે અને અંધેરીમાંથી લાંબી શોભાયાત્રા બાદ બીજા દિવસે વર્સોવા ખાતે વિસર્જન કરવામાં આવશે.

લાંબી વિસર્જન યાત્રાની પરંપરા ૧૯૮૦ના દાયકાથી ચાલી આવે છે. તે સમય દરમિયાન કેટલીક કંપનીઓમાં લોકઆઉટ થતાં ભક્તોએ મનોકામના રાખી હતી કે લોકઆઉટ સમાપ્ત થાય તો તેઓ આગામી સંકષ્ટી ચતુર્થી સુધી દેવતાની પૂજા કરશે. લોકઆઉટ સમાપ્ત થયા બાદ આ પરંપરા દર વર્ષે ચાલુ રહી. સંકષ્ટીનું વ્રત રાખનારા ભક્તોને વ્રત છોડતા પહેલાં દર્શન મળી રહે તે માટે લાંબી વિસર્જન યાત્રા જાળવવામાં આવે છે.  ગણેશોત્સવ ઉપરાંત આ સમિતિ રક્તદાન શિબિરો, શૈક્ષણિક સહાય, રમતોત્સવ અને પાલઘરના આદિવાસી પરિવારોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ જેવી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે.