મુંબઈમાં કોરોનાના એકલદોકલ કેસો જ નોંધાતાં હાશકારો
Updated: Jan 25th, 2023
પોણા ત્રણ વર્ષ પછી પહેલીવાર 23 જાન્યુએ. શૂન્ય કેસ નોંધાયો
મુંબઈમાં 2020માં 17મી માર્ચથી કોરોના કેસની ગણતરી શરુ થઈ હતી : સતત 2 દિવસ 0 કેસ બાદ 1 કેસ આવ્યો
મુંબઇ : મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કોવિડના એકલદોકલ કેસ જ નોંધાઈ રહ્યા છે. તા. ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ મુંબઈમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. જોકે, તા. પચ્ચીસ જાન્યુઆરીએ એક કેસ નોંધાયો હતો.
મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ૨૦૨૦ની ૧૬,માર્ચે મુંબઇમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. જોકે બીજા જ દિવસથી શહેરમાં કોરોનાના કેસની નોંધ શરૃ કરવામાં આવી હતી.સાથોસાથ ફક્ત ૨૪ કલાકમાં ૩,૦૦૦ વ્યક્તિનું તબીબી પરીક્ષણ પણ થયું હતું. આવા પડકારરૃપ સમયગાળામાં અમે જે સફળ કામગીરી કરી છે તેનો અમને બેહદ આનંદ છે. આમ તો ૨૦૨૨ના ડિસેમ્બર સુધી શહેરમાં કોરોનાના પાંચ-સાત કેસ નોંધાયા હતા.
આ સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ૨૦૨૩ની ૨૪,જાન્યુઆરી સુધીમાં મુંબઇમાં કોરોનાના ફક્ત ૧૧૬ કેસ નોંધાયા હતા અને એક દરદીનું મૃત્યુ થયું હતું. આમ છતાં મહાનગરપાલિકાએ સંપૂર્ણ સાવધાની રાખી હતી. અગાઉના કોરોનાના બંને જીવલેણ તબક્કા દરમિયાન પણ અમે તમામ પ્રકારની તબીબી સુવિધા રાખી હતી.
મહારાષ્ટ્ર કોવિડ-૧૯ ટાસ્કફોર્સના સભ્ય ડો. રાહુલ પંડિતે એમ કહ્યું હતું કે મુંબઇમાં કોરોનાનો એક પણ કેસ નહીં નોંધાયો હોવાથી અમને ઘણી રાહત થઇ છે. આમ છતાં આપણે સહુએ સાવધાની રાખવી જરૃરી છે.