અર્નાળા બીચ પર નાલાસોપારાના ચાર તરુણ તણાયા, બે લાપતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દરિયો તોફાની હોવા છતાં પાણીમાં ઉતર્યા
લાઈફ ગાર્ડે બેને ઉગાર્યાઃ મોટી ભરતી હોવાથી બાકીના બેની શોધખોળ મુશ્કેલ બની
મુંબઈ - વિરારના અર્નાળા દરિયામાં તરવા ગયેલા ચાર તરુણો દરિયામાં તણાયા હતા. તેમાંથી બેની ભાળ મળી છે જ્યારે બે તરુણ લાપતા બનતાં તેમની શોધખોળ હાથ ધરાઈ છે.
વિસ્તારમાં રહેતા ચાર તરુણો સવારે આઠ વાગ્યાની આસપાસ, તેઓ એક જ બાઇક પર ફરવા માટે વિરાર- વેસ્ટના અર્નાળા બીચ પર આવ્યા હતા. તોફાની દરિયો હોવા છતાં, તે ચારેય પાણીમાં ઉતરી ગયા હતાં. જો કે, ભારે મોજાના પ્રવાહને કારણે તેઓ દરિયામાં તણાયાં હતાં.
તરુણોને પાણીમાં ડૂબતા જોઈને, બીચ પર તૈનાત લાઇફગાર્ડ્સે તાત્કાલિક બચાવ કામગીરી શરૃ કરી હતી. તેમાંથી ૧૯ વર્ષના મોહમ્મદ અબ્દુલ હસમુદ્દીન શેખ અને ૧૬ વર્ષના સાદ અક્ષર ખાનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, અન્ય બે તરુણો ૧૭ વર્ષના શોએબ ખાન અને અયાન મંડલ દરિયાના પાણીમાં ડૂબી ગયા હતા.
આ ઘટનાની માહિતી મળતા જ અર્નાલા પોલીસ, કોસ્ટ ગાર્ડ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગના અધિકારીઓ મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા અને ડૂબી ગયેલા તરુણોની શોધખોળ હાથ ધરી હતી. ભરતીના કારણે શોધખોળ મુશ્કેલ બની હોવાનું મ્હાડા ફાયર સ્ટેશનના કિશોર પાટીલે જણાવ્યું હતું.
અર્નાળા બીચ જોખમકારક માનવામાં આવે છે. અહીં ઘણા અકસ્માતો થતા હોવાથી, તરવા પર પ્રતિબંધ છે. આવા બોર્ડ વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન અકસ્માતો અટકાવવા માટે, પોલીસે વસઈ વિસ્તારમાં વિવિધ બીચ અને પર્યટન સ્થળોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.









