જમાલપુરમાં કોરાનાને હરાવ્યા બાદ હોમ ક્વૉરન્ટાઇન દરમિયાન યુવકનો આપઘાત
- અમદાવાદમાં આત્મહત્યાના વધતા બનાવો
-બે દિવસમાં બે મહિલા સહિત આઠ વ્યક્તિએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી
Updated: May 30th, 2020
અમદાવાદ, શનિવાર
અમદાવાદમાં આત્મહત્યાનો બનાવોમાં ચિંતાનજક વધારો થઇ રહ્યો છે, બે દિવસમાં બે મહિલા સહિત આઠ વ્યકિતએ આપઘાત કર્યા છે, જેમાં જમાલપુરમાં રહેતો યુવક કોરોનાને હરાવીને ઘરે આવ્યો હતો પરતું હૉમ ક્વૉરન્ટાઇન દરમિયાન એકાંકી જીવનથી કંટાળીને ફાંસોખાઇને આપઘાત કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે જમાલપુરમાં અલીફ રેસિડેન્સીમાં રહેતા ફૈઝાન આરીફભાઇ પાલીવાલા (ઉ.વ.૨૪)ને એક મહિના અગાઉ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેણે સારવાર દરમિયાન કોરોનાને હરાવ્યો હતો, ઘરે આવીને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યો હતો જ્યાં યુવકના પરિવારજનોથી અલગ એકલો રહેતો હતો, જેથી કંટાળીને તા.૨૮ના રોજ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
અન્ય બનાવોમાં બહેરામપુરા જેઠા પિતામ્બરની ચાલીમાં રહેતા પંકજભાઇ અંબાલાલ પરમાર (ઉ.વ.૨૪)એ કોઇક અગમ્ય કારણોસર તા.૨૮ના રોજ સવારે ૯ વાગે ખાડિયા હોમ ગાર્ડ ઓફિસ પાસે એસિડ પીને આપઘાત કર્યો હતો. તેમજ અમરાઇવાડી વિસ્તારમાં બે આત્મહત્યાના બનાવો બન્યા હતા જેમાં રાજેશભાઇ સાધુ અને વિજય કુમાર ચૌહાણે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. વાડજમાં પણ બે આપઘાતના બનાવોમાં સંગીતાબહેન મેવાડા તથા ધીરેનભાઇ પટેલે પણ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી ઉપરાંત ચાંદખેડા માં યુવક તથા બાપુનગરમાં મહિલાએ પણ કાઇક કારણસર આપઘાત કર્યો હતો.