પ્રાર્થના કરીએ કે હવે કોઇને રેમડેસિવિરની જરૃર ન પડે: હાઇકોર્ટ
સુરતના રેમડેસિવિર કાંડ સામેની રિટની સુનાવણી
રાજ્ય સરકાર અને સી.આર. પાટીલ તરફથી રિટના ઝડપી નિકાલ માટે રજૂઆત કરાઇ
Updated: Sep 14th, 2021
અમદાવાદ,
મંગળવાર
કોરોનાની બીજી લહેર દરમિયાન સુરત ભાજપ કાર્યાલય પરથી ગુજરાત
ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તરફથી ૫૦૦૦ રેમડેસિવિરના વિતરણ સામે યોગ્ય કાર્યવાહી
કરવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની રિટ કરી છે.
જેમાં આજે કોર્ટે કહ્યું હતું કે પ્રાર્થના કરીએ કે હવે કોઇને રેમડેસિવિરની જરૃર ન
પડે. કેસની વધુ સુનાવણી ૨૨મી સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.
જાહેર હિતની રિટની સુનાવણી આજે કાર્યકારી ચીફ જસ્ટિસ આર.એમ.
છાયા અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ યોજાઇ હતી. જેમાં પરેશ ધાનાણી તરફથી
મુદતની માગણી કરવામાં આવી હતી. ત્યારે ખંડપીઠે કહ્યું હતું કે પ્રાર્થના કરીએ કે હવે
રેમડેસિવિરની જરૃર કોઇન ે ન પડે. આજના અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે અમદાવાદમાં
ગઇકાલે ઘણાં દિવસો બાદ કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
રાજ્ય સરકારે આજની સુનાવણીમાં કહ્યું હતું કે નજીકના
દિવસોમાં આ કેસની સુનાવણી કરવી જોઇએ,
કારણ કે હવે આ કેસનો અંત આવે તે જરૃરી છે. સી.આર. પાટીલ તરફથી પણ રજૂઆત કરાઇ
હતી કે અરજદારે આ મુદ્દે તપાસ સમિતિ સહિતની જે માગણી કરી છે તે પૂરી થઇ છે. આ
મુદ્દે તપાસ ચાલી રહી છે. તપાસના અંતે જે પણ પક્ષને વાંધો હોય તે કાયદાકીય રસ્તો
અપનાવી જ શકે છે. આ કેસ પેન્ડીંગ હોવાના કારણે ઘણી સમસ્યાઓ પણ થઇ રહી છે.