જનતાએ મુકેલો વિશ્વાસ એળે નહી જાય, મહાનગરોના વિકાસમાં કોઈ કચાશ નહીં રખાશે: CM વિજય રૂપાણી
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપને મળેલી જીત માટે મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો
Updated: Feb 23rd, 2021
અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2021, મંગળવાર
ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે કરવામાં આવી. હાલના ટ્રેન્ડ જોતા જણાઈ રહ્યું છે કે તમામ 6 મનપામાં ભાજપે સત્તા મેળવી છે. જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન સાવ કંગાળ રહ્યું છે. ગુજરાતમાં ભાજપની જીત પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી તમામ મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો.
મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ કરી જણાવ્યું કે, સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું.આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં
અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી-ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.