For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરામાં પદ્માવતી શોપિંગ સેન્ટરના 290 વેપારીઓને કોર્પોરેશનની નોટીસ બાદ વૈકલ્પિક જગ્યાની માંગણી

Updated: Mar 28th, 2024

વડોદરામાં પદ્માવતી શોપિંગ સેન્ટરના 290 વેપારીઓને કોર્પોરેશનની નોટીસ બાદ વૈકલ્પિક જગ્યાની માંગણીimage : Socialmedia

- ટીમ વડોદરાના સુચન પ્રમાણે વડોદરાની હેરિટેજ સિટીની ઓળખ પુનઃસ્થાપવા પ્રયાસ

વડોદરા,તા.28 માર્ચ 2024,ગુરૂવાર

વડોદરા શહેરની મધ્યમાં આવેલી પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને ગઈકાલે નોટિસ આપ્યા બાદ આજે વેપારીઓએ ફરી એકવાર વૈકલ્પિક જગ્યાની માંગણી સાથે તેઓએ વિધાનસભાના દંડકે આપેલી ખાતરી પૂર્ણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

વડોદરાની આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃપ્રસ્થાપિત કરવા ટીમ વડોદરાના પેટ્રન મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને વિધાનસભાના દંડક બાળુ શુક્લએ પ્રયત્ન શરૂ કર્યા છે જેના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડોદરાના સુરસાગર થી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી અને હેરિટેજ વડોદરાની પુનઃઓળખ થાય તે માટે તજજ્ઞોની સાથે પરીસંવાદ યોજીને વિધાનસભાના દંડક અને તજજ્ઞોએ હેરીટેજ વોક કરીને સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. જેમાં નડતરરૂપ વર્ષો જૂની જર્જરીત થઈ ગયેલી પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવવામાં આવે તેવા સૂચનો પણ થયા હતા. જે બાદ તાજેતરમાં વિધાનસભાના દંડકએ પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે એક સંયુક્ત બેઠક યોજી હતી અને તમામ વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની ખાતરી આપી હતી.

આ બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનરને તમામ માહિતી સાથે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું જે આધારે સ્થાયી સમિતિની બેઠકમાં વધારાના કામમાં પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવીને વૈકલ્પિક જગ્યા આપવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

નવી જગ્યા પર બાંધકામ થાય તે પૂર્વે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી નાખ્યા પછીના જે સમયમાં વેપારીઓને મુશ્કેલી પડે નહીં અને વ્યાપાર ધંધા વ્યવસ્થિત રીતે ચાલુ રહે તે માટે હંગામી ધોરણે પતરાના શેડ લગાવીને વ્યાપારીઓને કોર્પોરેશન મદદરૂપ થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી નાખવાની કામગીરી થયા બાદ જે ગાંધીનગર ગૃહ પરથી ઉભા રહીને ન્યાય મંદિરની ઘડિયાળમાં સમય જોઈ શકાતો હતો તે ફરીથી જોઈ શકાશે એટલું જ નહીં આ ઈમારત તોડવાની સાથે સાથે ધાર્મિક સ્થાન પણ નડતરરૂપ બનશે તે અંગે વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહે છે. હાલમાં પદ્માવતી શોપિંગ સેન્ટરની પાછળ મુખ્ય રસ્તા પર જ પથારા વાળાઓનું દબાણ થઈ ગયું છે અને તેને ક્યારેય પણ હટાવી શકાતું નથી ત્યારે પદ્માવતી શોપિંગ તોડ્યા પછી રસ્તો પહોળો કરવામાં આવશે કે પછી તે જગ્યા પર પણ પથારા વાળાનું સામ્રાજ્ય થઈ જશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે. 

કારેલીબાગ બ્રિજ પાસે નવ માળની ઈમારતમાં વેપારીઓને જગ્યા અને કોર્પોરેશનની મુખ્ય કચેરી સ્થળાંતર કરવામાં આવશે

વડોદરા શહેરના વીઆઇપી રોડ કારેલીબાગ ફતેગંજને જોડતા બ્રિજને અડીને આવેલી ભૂતકાળની કચરા કેન્દ્રની જગ્યામાં કોર્પોરેશન હવે 50 કરોડના ખર્ચે નવો માળની બહુમાળી ઈમારત તૈયાર કરશે જેમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને બે માળ સુધી દુકાનોની ફાળવણી કરી આપવામાં આવશે જ્યારે ત્રણથી નવ માળમાં કોર્પોરેશનની હાલ ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીની તમામ ઓફિસો કાર્યરત કરવામાં આવે તેવી વિચારણા કરવામાં આવી છે.

કોર્પોરેશનના વહીવટી તંત્ર એ આ અંગેની પૂર્વ તૈયારી શરૂ કરી છે જેમાં કારેલીબાગ બ્રિજ પાસેની જગ્યામાં 28,000 ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવશે જેની પાછળ રૂપિયા 50 કરોડનો ખર્ચ થશે. જેમાં દુકાનોનું વેચાણ કરીને અંદાજે રૂપિયા 32 કરોડની આવક મેળવવામાં આવશે તેવો અંદાજ છે.

વડોદરા શહેરના વીઆઈપી રોડ પર કારેલીબાગ બ્રિજની બાજુમાં આવેલી ખુલ્લી જમીનમાં કોર્પોરેશન તેની મુખ્ય કચેરીનું સ્થળાંતર કરવાની સાથે સાથે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને પણ જગ્યા ફાળવી આપશે તેવા નિર્ણયથી આગામી દિવસમાં વિવાદ પણ સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે.

Gujarat