આજથી અમદાવાદ-મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન દોડશે
- અંધેરી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું
- મુસાફરોને ટ્રેનમાં મફતમાં માસ્ક, સેનેટાઇઝર સહિતની કીટ અપાશે
Updated: Oct 16th, 2020
અમદાવાદ,તા.16 ઓક્ટોબર 2020, શુક્રવાર
આજે તા.૧૭ ઓક્ટોબરથી અમદાવાદ-મુંબઇ વચ્ચે દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ દોડતી થશે. કોરોનાકાળમાં છેલ્લા સાત માસથી બંધ આ ટ્રેન પૂનઃશરૂ થતા મુસાફરોને મોટી રાહત મળશે.
ટ્રેન નં. ૮૨૯૦૨ આજે શનિવારે અમદાવાદ રેલવે સ્ટેશનથી સવાર૬ઃ૪૦ કલાકે ઉપડશે. જે બપોરે ૧ઃ૧૦ કલાકે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે.
પરતમાં તેજસ એક્સપ્રેસ ટ્રેન નં. ૮૨૯૦૧ મુંબઇ સેન્ટ્રલથી બપોરે ૩ઃ૩૫ કલાકે ઉપડશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર રાત્રે ૯ઃ૫૫ કલાકે પહોંચશે.
આ અંગે આ ઝોનના આરઆરસીટીસીના સહાયક મેનેજર એમ.એચ.ખાનના જણાવ્યા મુજબ ટ્રેનમાં બે મુસાફરો વચ્ચે એક સીટ ખાલી રખાશે. ટ્રેન તેની કુલ કેપીસીટીના અડધા મુસાફરો સાથે લઇ જવાશે. તેજસ ટ્રેનને વિશેષ સ્તર પર અંધેરી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
દરેક મુસાફરે આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત રહેશે. દરેક કોચમાં ટ્રેનના આગમન અને પ્રસ્થાન સમયે સેનેટાઇઝેશન કરાશે. દરેક કોચમાં કોરોના ગાર્ડ મૂકવામાં આવશે.
થર્મલ સ્ક્રિનિંગ કરાશે. માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. જેના પર વિશેષ દેખરેખ રાખવામાં આવશે. મુસાફરોને ટ્રેનમાં ચા-નાસ્તો અને ભોજન પણ મળી રહેશે. કોવિડ-૧૯ના નિયમો મુજબ ઠંડી ચીજવસ્તુઓ આપવામાં નહીં આવે. મુસાફરોને ટ્રેનમાં મફતમાં માસ્ક, સેનેટાઇઝર સહિતની કીટ અપાશે