અમદાવાદમાં જાહેરમાં ગરબાનું આયોજન અડધોઅડધ ઘટયું
-આ વખતે પ્રાઇવેટ ગરબાના પ્રમાણમાં વધારો
-અમદાવાદમાં શહેરમાં ૨૦૧૯માં ૭૬ જ્યારે આ વખતે માત્ર ૪૦ આયોજકો દ્વારા મંજૂરી લેવાઇ
Updated: Sep 25th, 2022
અમદાવાદ,રવિવાર
બે વર્ષ બાદ કોઇ
નિયંત્રણ વિના રાસ-ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવી હોવાથી ખેલૈયાઓમાં થનગનાટ છે.
જોકે, અમદાવાદ શહેરમાં આ વખતે જાહેરમાં રાસ-ગરબાના આયોજન માટે ૪૦ દ્વારા જ પોલીસ મંજૂરી
લેવામાં આવી છે. જેની સરખામણીએ ૨૦૧૯માં મંજૂરી લેનારાનું આ પ્રમાણ ૭૬ હતું.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ક્લબ, પાર્ટી પ્લોટ
સહિત અમદાવાદ શહેરમાં જાહેરમાં ગરબાના આયોજન માટે કુલ ૪૦ આયોજકો દ્વારા મંજૂરી લેવામાં
આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાને પગલે બે વર્ષ બાદ રાસ-ગરબાનું આયોજન થઇ
રહ્યું છે. જોકે, મોટાભાગના આયોજકો હજુ મહામારીને પગલે વેઇટ એન્ડ વોચમાં છે. આ ઉપરાંત
વરસાદની પણ સંભાવના હોવાથી અનેક આયોજકોએ ગરબા આયોજનનું જોખમ લેવાનું ટાળ્યું છે.
છેલ્લા બે વર્ષમાં
શેરી ગરબા, સોસાયટીમાં થતાં આયોજનો પ્રત્યે પણ ખેલૈયાઓનો ઝુકાવ વધ્યો છે. આ ઉપરાંત
ધનાઢ્ય લોકોએ આ વખતે અમદાવાદ ગ્રામ્ય કે ગાંધીનગરમાં આવેલા ફાર્મ હાઉસ-પાર્ટી પ્લોટમાં
પ્રાઇવેટ ગરબાનું આયોજન વધારે પ્રમાણમાં કર્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ ગ્રામ્યમાં ગરબાના
આયોજન કરનારાના પ્રમાણમાં ૨૦૧૯ કરતાં વધારો જોવા મળ્યો છે.