કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પીજી સ્ટુડન્ટને યુનિ.દ્વારા ફી માફી
ગોલ્ડ મેડલ માટે દાનની રકમ એક લાખથી વધારી બે લાખ કરાઈ
યુનિ.મા સાહિત્ય-કલા કેન્દ્રની સ્થાપના થશે
Updated: Jul 8th, 2021
અમદાવાદ
ગુજરાત
યુનિ.ની આજે સીન્ડીકેટની બેઠક મળી હતી.જેમાં કોરોનોમાં માતા-પિતા ગુમાવનાર પીજીના
વિદ્યાર્થીઓને ફી માફી આપવાનો નિર્ણય કરાયો છે.આ ઉપરાંત ગોલ્ડ મેડલ માટે દાનની રકમ
વધારી ૨ લાખ કરવામા આવી છે.
સરકારે નવા સિન્ડીકેટ
મેમ્બરોની નિમણૂંક કર્યા બાદ આજે પ્રથમ બેઠક મળી હતી.જેમાં ૧૬૭ કર્મચારીઓને પેન્શન, અધ્યાપકોને
એરિયર્સ અને પગાર પંચના તફાવતની ચુકવણી, વહિવટી કર્મચારીઓને એલાઉન્સીસ
સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી અને જરૃરી નિર્ણયો લેવાયા હતા.આ ઉપરાંત કેમ્પસમાં ચાલતા
૧૫થી વધુ પીજી કોર્સના ચાલુ વર્ષના નવા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓમાં જે વિદ્યાર્થીએ
કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા હશે તેઓને પુરી ફી માફી અપાશે.આ ઉપરાંત કોન્વોકેશનમાં
ટોપર્સ સ્ટુડન્ટસને અપાતા ગોલ્ડ મેડલ માટે દાનની રકમ ૨ લાખ કરાઈ છે.હવે દાતાએ એક લાખને
બદલે ૨ લાખ આપવાના રહેશે.વધુમાં યુનિ.માં સાહિત્ય કલા કેન્દ્રની સ્થાપના કરવાનો અને
દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય કરાયો છે.
જ્યારે પર્યવારણની સુરક્ષા માટે દરેક ભવનમાં બ્રાંડ એમ્બેસેડરની નિમણૂક કરવાનુ નક્કી કરાયુ છે. યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે કે સીન્ડીકેટમાં નવા બે સીન્ડીકેટ મેમ્બરો એકેડમિક કાઉન્સિલમાંથી નિમાયા હતા.તાજેતરમાં સરકારે નવા નિમેલા સેનેટ મેમ્બરોમાંથી એકેડમિક કાઉન્સિલમાં આવેલા બે સભ્ય વનરાજ સિંહ ચાવડા અને મયુરીબેન ભાટિયાની સીન્ડીકેટમાં નિમણૂંક થઈ છે.આ બંને સભ્ય યુનિ.કેમ્પસમાં વિવિધ ભવનમાં અધ્યાપક છે.