For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચ્છ અને ભાવનગરમાં માઇનિંગ ઓપરેટર બનાવીને કરોડોનો ભ્રષ્ટાચાર

Updated: Nov 17th, 2021

Article Content Image

સરકારને અબજોના ખાડામાં ઉતારી પ્રાઇવેટ કંપનીઓને

ભાવનગરના ભાજપના નેતાને અંદાજે 35 કરોડ જેટલી રકમ પ્રોટેકશન મની તરીકે આપવામાં આવ્યાની ચર્ચા

માનિતી કંપનીઓને ટેન્ડર મળે તે રીતે પ્રક્રિયા હાથ ધરાવીને કોન્ટ્રાક્ટ અપાયા 

ગાંધીનગર : ગુજરાત સરકારને અબજો રૂપિયાના ખાડામાં ઉતારીને પ્રાઇવેટ કંપનીઓને કચ્છ અને ભાવનગરમાં માઇનિંગ ઓપરેટર બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. ચોંકાવનારી વિગતો એવી છે કે સરકારના જાહેર સાહસમાં માનિતી કંપનીઓના ટેન્ડર પાસ થાય એ રીતે ટેન્ડરીંગની પ્રક્રિયા પસાર કરવામાં આવી રહી હતી.

રાજય સરકારના ગુજરાત ખનીજ વિકાસ નિગમને નુકશાનીના  ખાડામાં ઉતારનાર માઈનિંગ ફિક્સરના કાળા કરતૂતોની વિગતો હવે ભાજપના દિલ્હી દરબાર સુધી પહોચી જવા પામી છે. જેના પગલે હવે માઈનિંગ ફિક્સર સાથે સંકળાયેલી મહાલક્ષ્મી માઈન્સને અગાઉની સરકાર દ્વારા મિનરલ્સ ડેવલોપીંગ ઓપરેટર તરીકેને જે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તે રદ કરવાની માંગ ઊંભી થવા પામી છે.

તાજેતરમાં ખનીજ વિકાસ નિગમના નફામાં પણ ઘટાડો નોંધાયો છે. આ જ રીતે ખનીજ ચોરી કરનારા માઈનિંગ ફિક્સરો પર લગામ રાખવી પણ જરૂરી બની છે. કચ્છમાં માઈનીંગ ઓપરેટર તરીકે છેલ્લા 30 વર્ષથી જે  કામ જીએમડીસી કરતુ હતું તે હવે મહાલક્ષ્મી માઈન્સને આપવામાં આવ્યુ છે.

ભાવનગર એનર્જી કંપનીની લિગ્નાઈટ માઈનીંગનું કામ પણ માઈનિંગ ફિક્સરના મળતિયાની બે કંપનીઓને આપવામાં આવ્યુ છે. ગુજરાત પાવર કોર્પોરેશન કંપનીની આ માઈન્સમાંથી ખનીજ કાઢવા માટે ભાવનગરના ભાજપના એક નેતાને અંદાજે 35 કરોડ જેટલી રકમ પ્રોટેકશન મની તરીકે બીજા હેડ હેઠળ આપવામાં આવ્યા હોવાની ચર્ચાએ વેગ પકડયો છે.

માઈનિંગ ફિક્સરના કહેવાથી કચ્છના કલેકટર પ્રવીણા ડી કેની બદલી કરવામાં આવી હતી. જો કે પીએમઓની સૂચના બાદ તેમની બદલી રદ્દ કરવામાં આવી હતી.  છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં બોકસાઈટ, લિગ્નાઈટ તથા લાઈમસ્ટોન સહિત જુદા જુદા ખનીજો પૈકી જામનગર, કચ્છ, પોરબંદર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં મોટા પાયે ખનીજ ચોરી કરવામા આવી હતી.

જેના કારણે સરકારને રોયલ્ટીની આવકમાં ઘટાડો થયો છે.  હવે આ માઈનિંગ ફિક્સરે કરેલા ખનીજ કૌભાંડ તથા ખનીજ ચોરીની વિગતો વડાપ્રધાન કાર્યાલય સુધી પહોચી છે. માઈનિંગ ફિક્સરોેએ ખનીજ ચોરી સહિત 3500 થી 4000 કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનું સચિવાલયમાં ચર્ચાઈ રહ્યંુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે તેની સામે આયકર તથા ઈડી દ્વારા તપાસ હાથ ધરાય તેવી પણ સંભાવના છે.

Gujarat