સાવધાન, ગુજરાતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ શકે છે
- ગુજરાતીઓ માટે ચિંતાનજક સમાચાર
- ગુજરાતમાં 15 હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પ્રવેશશે,50 ટકા કેસો હોટસ્પોટ વિસ્તારમાં જ રાજ્યના કેટલાંક હોટસ્પોટ વિસ્તારોમાં તો એડવાન્સ સ્ટેજ, કેટલાંકમાં હજુ કોરોના સ્ટેજ ટુ
Updated: Apr 23rd, 2020
અમદાવાદ, તા.23 એપ્રિલ 2020, ગુરૂવાર
ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિનપ્રતિદીન વણસી રહી છે.ગુજરાતમાં કોરોના ના કેસો જ નહીં, મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે.ગુજરાત માટે માઠા સમાચાર એછેકે,અમદાવાદ સહિત રાજ્યના હોટસ્પોટ વિસ્તારો હવે કોરોનાના સ્ટેજ-૨ના એડવાન્સ સ્ટેજમાં પ્રવેશી ચૂક્યાં છે તે જોતાં ગુજરાતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થવાની દહેશત છે.આ પરિસ્થિતીમાં લોકોએ ખુબ જ સાવધાની વર્તવાની જરુર છે.
સમગ્ર વિશ્વના મોટાભાગના દેશો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યાં છે તેમાં ગુજરાત પણ બાકાત રહી શકયુ નથી.રાજયમાં કોરોનાના કેસો ૨૫૦૦ના આંકને પાર કરી ચૂકયો છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસો અને મૃત્યુઆંકને જોતાં ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે રહ્યુ છે. કોરોનાને લઇને ગંભીર વાત એછેકે, કેટલાંક વિસ્તારોમાં કોરોના એડવાન્સ સ્ટેજમાં છે. એટલે સ્ટેજ ટુ કરતાં આગળ છે જેથી આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યુ છે.
હાલમાં ગુજરાતમાં ૧૫ હોટસ્પોટ વિસ્તાર છે જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર સામેલ છે.અત્યારે અમદાવાદ સહિતના મોટા મહાનગરો ઉપરાંત ૨૯ જિલ્લામાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. હવે ચિંતાજનક વાત એ બહાર આવી છેકે,ગુજરાતના હોટસ્પોટ વિસ્તારમાં કમ્યુનિટી ટ્રાન્સિશન વધી શકે છે.અત્યાર સુધી તો ગુજરાત કોરોનાના બીજા સ્ટેજમાં છે.હવે ગુજરાતના ૧૫થી વધુ હોટ સ્પોટ વિસ્તારોમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પ્રવેશ કરી શકે છે.
આંકડા પર નજર કરીએ તો,હોટસ્પોટ વિસ્તારમાં જ કેસોનુ પ્રમાણ સવિશેષ રહ્યુ છે.કુલ કેસો પૈકી ૫૦ ટકાથી વધુ કેસો તો માત્ર હોટસ્પોટ વિસ્તારમાં જ નોંધાઇ રહયાં છે જે ડેન્જરસ સાબિત થઇ શકે છે. જેના પગલે રાજ્ય આરોગ્ય વિભાગે પણ આવતીકાલથી ખાસ કરીને હોટસ્પોટ વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ કરવા નક્કી કર્યુ છે.
આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યુંકે, ગુજરાતના મૃત્યુઆંકમાં મોટાભાગે એવા મૃતકો છે જેમને એક કરતાં વધુ બિમારી છે.૬૦ વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના જોખમી સાબિત થયો છે.રાજ્ય સરકારે મૃતકોના કારણો સાથે માહિતી પ્રસ્તૃત કરી છે એટલે આંકડા છુપાવવાનો સવાલ નથી.
ગુજરાતમાં હવે રોજ ત્રણ હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ૨૫૦૦ ટેસ્ટ અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવશે જયારે ૫૦૦ ટેસ્ટ પોઝીટીવ દર્દીઓના રિટેસ્ટ માટે કરવામાં આવશે. હાલમાં ગુજરાતમાં કુલ ૧૫ સ્થળોએ કોરોના ટેસ્ટ કરવાની સુવિધા છે. આ ઉપરાંત આવતીકાલથી રેપિડ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવી રહયું છે.
હવે કોરોના જયારે ત્રીજા સ્ટેજમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે ત્યારે લોકોએ પણ ખાસ સાવધાની વર્તવાની જરુર છે.