વરસામેડી રોડ પર અને રાપરમાં અકસ્માતમાં બે ઘાયલ
Updated: Apr 26th, 2024
ગાંધીધામ નજીક રોડ ક્રોસ કરતા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
ગાંધીધામ: અંજારનાં વરસામેડી રોડ પર છકડો અને વાહન વચ્ચે અકસ્માતમાં આધેડને ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચી હતી. તો બીજી બાજુ રાપરનાં રબારીવાસમાં છોટાહાથીએ બાઈક ચાલકને હડફેટે લીધું હતું. જેમાં બાઈક ચાલક યુવાનને ઈજાઓ પહોંચી હતી. તેમજ ગાંધીધામનાં નેશનલ હાઇવે પર જવાહરનગર પાસે રોડ ક્રોસ કરવા જતા યુવાનને બાઈક ચાલકે હડફેટે લીધું હતું. જેમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતી.
અંજારનાં કોળીવાસમાં રહેતા ભરતભાઈ રવજીભાઈ કોળીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદીનાં પિતા અંજાર - વરસામેડી રોડ પર પોતાના છકડા નં જીજે ૦૪ એટી ૭૪૮૯ થી જતા હતા. દરમિયાન આરોપો પોતાના વાહન નં જીજે ૧૩ એડબ્લ્યું ૭૫૨૩ થી ફરિયાદીનાં પિતાનાં છકડામાં સામે ભટકાવી અકસ્માત સર્જયો હતો. જેમાં ફરિયાદીનાં પિતાને પાસળીયોમાં ફ્રેક્ચર અને માથાનાં ભાગે ઈજાઓ પહોંચી હતી.જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તો બીજી બાજુ રાપરનાં ગેડીમાં રહેતા મહેશભાઈ ખીમાભાઇ મેરે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં છોટાહાથી નં જીજે ૧૬ એવી ૦૮૯૧ નાં ચાલકે રાપરનાં રબારીવાસ પાસે ફરિયાદીની બાઈકને હડફેટે લીધું હતું. જેમાં ફરિયાદીને મોઢાના ભાગે અને શરીરે છોલછામ જેવી ઈજાઓ પહોંચી હતી. જેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.તેમજ ઝારખંડનાં ગઢવા જિલ્લામાં રહેતા માલતીબેન પ્રભુભાઈ વિશ્વકર્માએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદીનાં ૩૯ વર્ષીય પતિ પ્રભુભાઈ રામજીભાઈ ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે પર જવાહરનગર પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન બાઈક નં જીજે ૧૨ ઈએમ ૦૧૧૪ નાં ચાલકે ફરિયાદીનાં પતિને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.