ઉપલેટામાં ગર્ભવતી હાલારી ગધેડીની ગર્ભ શ્રીમંતની વિધિ કરાઈઃ દેશનો આવો પ્રથમ કિસ્સો
- હાલારી ગધેડાની સંખ્યા ઘટી રહી છે ત્યારે પ્રેરણારૂપ કિસ્સો
Updated: Feb 24th, 2022
- ભરવાડ સમાજની બહેનોએ ગર્ભવતી ગધેડીને સાજ શણગાર કરી, પુજા વિધિ કરી ગોદભરાઈ કરી હતી
ગર્ભ શ્રીમંત પ્રસંગની વાત આવે એટલે આંખોની સામે ગર્ભ ધારણ કરેલ સ્ત્રીનું ચિત્ર સામે આવી જાય. બાળક સૃષ્ટિ ઉપર અવતાર ધારણ કરે એ પહેલા જ તે માતાના ગર્ભમાં હોય ત્યારે ભાવિ માતાનું ગર્ભસીમંત સંસ્કાર (ગોદભરાઈ) ની પવિત્ર રસમ ઉજવાય છે પરંતુ કયારે સાંભળ્યુ છે કે કોઈ પશુ પ્રાણીની ગોદભરાઈની રસમ ઉજવાઈ હોય, આ સવાલના જવાબમાં લગભગ 'ના' જ હોય પરંતુ આવુ પણ બને છે. સૌરાષ્ટ્રના હાલાર પંથકમાં ગર્ભવતી ગધેડીની ગર્ભ શ્રીમંતની વિધિ પશુપાલકો દ્વારા કરવામાં આવી હતી. આ વિધિ કરવા પાછળ આશય એટલો જ હતો કે, વર્તમાનમાં જયારે હાલારી ગધેડાની સંખ્યા ઘટી રહી છે ત્યારે ગર્ભ શ્રીમંતની આ વિધિ પ્રેરણારૂપ બની રહે.
જેમાં ભરવાડ સમાજની બહેનો એ તેમની પરંપરા મુજબ જેમ પોતાના પરિવાર માં આંગતુક બાળક ને સત્કારવા ગર્ભવતી બહેનની ગોદભરાઈ સંસ્કાર કરવામાં આવે તે રીતે હાલારી ગધેડા ને બચાવવા માટે ગર્ભવતી હાલારી ગધેડીની ગોદભરાઈ ગર્ભ સીમંત સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. આ વિધિ રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામ ખાતે યોજવામાં આવી હતી. ગર્ભવતી ગધેડાની ગોદભરાઈ વીધી કરવામાં આવી હોય તેવી ભારત દેશની કદાચ આ સૌ પ્રથમ ઘટના બની હતી. આ કાર્યક્રમ માં ૩૩ જેટલી હાલારી માદા ગધેડીઓ એ ભાગ લીધો હતો. બહેનો એ ગર્ભવતી ગધેડીને સાજ શણગાર કરી, પૂજાવિધિ કરી, વિધિવત રીતે પોંખી ને ગોદભરાઈ વિધિ કરી હતી,
હાલારી ગધેડા જે ભારત દેશની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પશુ ઓલાદ છે. જે સૌરાષ્ટ્રં હાલાર પંથક (જામનગર, દ્રારકા જિલ્લામાં) માં જોવા મળે છે. હાલારી ગધેડાની સંખ્યા હવે ફક્ત ૪૩૯ બચી છે, તે પણ હવે બિલકુલ લુપ્ત થવાને આરે છે. આ ગધેડાં ને બચાવવા માટે અને સંરક્ષિત કરવા માટે સહજીવન સંસ્થા-ભુજ દ્વારા હાલાર પંથક ના ભરવાડ માલધારીઓ સાથે હાલારી ગધેડા ના સંરક્ષણ માટે કાર્યક્રમ હાથ ધરાતા રહે છે. કચ્છ જિલ્લામાં પણ હાલારી ગધેડા ની નહિવત સંખ્યા જોવા મળે છે. કેટલાક કુંભાર પરિવારો હાલારી ગધેડા રાખે છે, હાલારી ગધેડા નું દૂધ દેશ ની અન્ય તમામ ગધેડાની પ્રજાતિ ઓ કરતા ઔષધીય રીતે સૌથી વધારી પૌષ્ટિક હોઈ અને પ્રતિ લીટર રૂપિયા ૧૦૦૦ થી વધુ ઉપજવાની સંભાવના હોઈ જેથી સહજીવન સંસ્થા દવારા હાલારી ગધેડા ના સંવર્ધન માટે પ્રયાસો હાથ ધરાયા છે તેવું પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીએ વધુમાં જણાવેલ હતુ.