નવા ફળિયા ચોકડી પાસે અંધારામાં વાહનની ટક્કરે રાહદારીનું મોત
Updated: Apr 30th, 2024
- ગરબાડા-દાહોદ હાઈવે પર આવેલી
ગરબાડા : ગરબાડાની નવા ફળિયા ચોકડી નજીક ગઈકાલે રાત્રિના સમયે અજાણ્યા વાહનની ટક્કરે ભામા તળાઈ ગામના ચાલતા જઈ રહેલા રહીશનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ગરબાડા - દાહોદ નેશનલ હાઈવે પર અવારનવાર વાહન ચાલકોની બેદરકારી અને ગફલતના લીધે અકસ્માતો સર્જાવાની ઘટના બની રહી છે, આવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે તા.૨૮મીએ રાત્રિના ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ગરબાડા નવા ફળિયા ચોકડી નજીક થી પસાર થઈ રહેલા ભામા તળાઈ ગામના કાળિયા ફળિયામાં રહેતાં બદુભાઈ વાલાભાઈ બામણીયા ચાલતાં ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં, તે સમયે પૂરઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતા તેઓ દૂર ફંગોળાયા હતાં. જેમાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. અકસ્માતની ઘટનાને પગલે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતાં. તેમજ બનાવ અંગે ગરબાડા પોલીસને જાણ કરતાં પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.