Jamnagar

ધ્રોલ પંથકમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી ન થતાં અરજદાર અકળાયો, જામનગર ખાણ-ખનીજ કચેરીએ અર્ધનગ્ન વિરોધ

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરના ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં ચાલી રહેલા ગેરકાયદે ખનીજ ખનન સામે કાર્યવાહી ન થતા સોડાભાઈ નાગજીભાઈ વરુએ ખાણ-ખનીજ વિભાગની કચેરીએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. નદીમાંથી રેતી અને ખેતરમાંથી માટી ખનન સામે અનેક રજૂઆતો છતાં પગલાં ન લેવાતા, અરજદારે અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ કર્યો. તેમણે પોલીસ સુરક્ષા અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોલ પંથકમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી ન થતાં અરજદાર અકળાયો, જામનગર ખાણ-ખનીજ કચેરીએ અર્ધનગ્ન વિરોધ

Jamnagar News: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનીજ ખનન સામે અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં અરજદારે જામનગર સ્થિત ખાણ-ખનીજ વિભાગની કચેરીએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ધ્રોળ પંથકમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી ન થતાં વિરોધ

મજોઠ ગામના સોડાભાઈ નાગજીભાઈ વરુના જણાવ્યા મુજબ, ગામમાં લાંબા સમયથી નદીમાંથી રેતીનું ખનન તેમજ સિંચાઈની જમીનમાંથી ગેરકાયદે માટી ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ અંગે તેમણે ખાણ-ખનીજ વિભાગ સહિત સંબંધિત સરકારી તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

અરજદારે આક્ષેપ કર્યો છે કે, ગેરકાયદે ખનનનો વિરોધ કરવા બદલ તેમને ખનીજ માફિયાઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ, કેટલાક લોકો મારફતે તેમને એવો મેસેજ આપવામાં આવ્યો છે કે તેમની અરજીઓનો કોઈ અસર થવાની નથી. આ કારણે તેઓ અને તેમનો પરિવાર ભયના માહોલમાં જીવન જીવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

અરજદારે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, ખાણ-ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓની કથિત નિષ્ક્રિયતા અથવા મિલીભગતને કારણે ગેરકાયદે ખનન સામે કાર્યવાહી થતી નથી. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને વિભાગ તરફથી આ અંગે કોઈ પ્રતિભાવ જાહેર થયો નથી.

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર: 75 વર્ષ જૂના 'ટુકડા ધારા'માં સુધારો, 1948 પછીના તમામ ભંગ પેનલ્ટી વગર નિયમિત કરાશે!

અરજદારે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ગેરકાયદે ખનન તાત્કાલિક બંધ કરાવવા, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા તેમજ પોતાને અને પરિવારને પોલીસ સુરક્ષા આપવાની માગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે. જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આમરણાંત ઉપવાસ સહિત વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. અરજદારે જણાવ્યું હતું કે, "જો મારા આંદોલન દરમિયાન કોઈ અઘટિત ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી જામનગર ખાણ અને ખનીજ વિભાગની રહેશે."